મોરબી-કંડલા બાયપાસ રોડ પર કૃષ્ણા ગ્રાઉન્ડ પાછળ આવેલી ડિવાઈન પાર્ક સોસાયટીના સત્યમ-બી એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ પાચોટીયાએ આરોપી મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા, ભાવીકભાઈ કારૂભાઈ વિરમગામા, કેવલ કારૂભાઈ વિરમગામા, રમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજી જીવાણી અને વિલાસબેન સવસાણી સહિતના લોકો સામે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ તા. 5 માર્ચ 2026ના રોજ વહેલી સવારે પરિવારના સભ્યો ઊંઘમાં હતા, ત્યારે નરેન્દ્રભાઈની માતા સવિતાબેને ફ્લેટના ધાબા પાસે આવેલા લિફ્ટના મેન્ટેનન્સ રૂમ તરફ જતી સીડીઓ નજીક દોરી અને ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ પછી સ્થળ પરથી કેટલીક ચિઠ્ઠીઓ મળી આવી હતી, જેમાં સવિતાબેને સોસાયટીમાં રહેતા કેટલાક લોકો પોતાના પર ગાળો બોલતા, ધમકાવતા તેમજ અપમાન કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે વર્ષ 2024 દરમિયાન પાર્કિંગમાં પાણી ધોવાની બાબતે થયેલી બોલાચાલી બાદ કેટલાક લોકો દ્વારા નરેન્દ્રભાઈ તથા તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલે તે સમયે મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.
ત્યારબાદથી આરોપીઓ ખાર રાખીને પરિવારને વારંવાર હેરાન કરતા અને ખાસ કરીને નરેન્દ્રભાઈ ઘેર ન હોય ત્યારે તેમની માતાને ધમકાવતા હોવાનું જણાવાયું છે. આરોપીઓના સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી સવિતાબેને આપઘાત કર્યો હોવાનું ફરીયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે મોરબી એ-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

