મોરબીના રવાપર રોડ પર કેપિટલ માર્કેટ સામે આવેલા ગોલ્ડ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના જસાપર ગામના નિવાસી જયેન્દ્રભાઈ અમૃતલાલ દલસાણિયા (ઉ.વ. 43)એ મોરબી તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, યેશા ટાઇલ્સ પ્રા.લી. કંપનીના ડાયરેક્ટર રાજેન્દ્રકુમાર ચતુરભાઈ હાલપરા (રહે. ભગવતી ટ્વિન્સ-બી, સાનિધ્ય પાર્ક સોસાયટી, રવાપર, મોરબી) એ પોતાની બંધ પડી ગયેલી કંપની ફરી શરૂ કરવા માટે નાણાંની જરૂર હોવાનું કહી ફરિયાદી જયેન્દ્રભાઈને કંપનીમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ આરોપીએ અલગ-અલગ સમયે કંપનીના ખાતામાં રૂપિયા 18.50 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. તેમજ રૂપિયા 15 લાખ રોકડા દિપકભાઈ આહીરને આપવાનું કહ્યુ હતું.
પછી કંપની ચાલુ ન થતાં ફરિયાદીએ પોતાની રકમ પરત માંગતા આરોપીએ કંપનીની જમીન પર પ્લોટ આપી દેવાની વાત કરી હતી. આ બહાને આરોપીએ અગાઉના 33.50 લાખ ઉપરાંત વધુ રૂપિયા 86,05,708 જયેન્દ્રભાઈ પાસેથી અને તેમના સગાસંબંધીઓ પાસેથી ઉછીના લઈને વસૂલ્યા હતા. આમ કુલ રૂપિયા 1,19,55,708 લીધા હોવાનો આક્ષેપ છે.
આ બાદ આરોપીએ પ્લોટનો સોદાખત કરી આપ્યો હોવા છતાં તે પ્લોટ અન્ય વ્યક્તિને વેચી નાખ્યો હતો અને જયેન્દ્રભાઈને ન તો દસ્તાવેજ કર્યો કે ન તો રકમ પરત આપી. જેથી છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

