મોરબી બાયપાસ રોડની જર્જરિત હાલતને લઈને સ્થાનિક સ્તરે ફરી અસંતોષ વ્યક્ત થયો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, નેશનલ હાઇવેને શનાળા પાસે રાજકોટ રોડ સાથે જોડતો બાયપાસ માર્ગ હાલમાં અત્યંત ખરાબ હાલતમાં છે. રસ્તા પર મોટા-મોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. માર્ગ પર તૂટેલા ગટરના ઢાંકણાં અને વારંવાર ઉભરાતી ગટર જેવી સમસ્યાઓને કારણે લોકોને રોજિંદા જીવનમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે.
આ માર્ગ પર થોડા સમય પહેલાં નવી સ્ટ્રીટ લાઈટો સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ તે માત્ર ચાર દિવસ જ ચાલુ રહી બાદમાં બંધ પડી ગઈ છે. પરિણામે રાત્રિના સમયે અંધકાર છવાઈ જાય છે અને અકસ્માતનો ભય વધ્યો છે.
રજૂઆતમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રોડ અંગે સંબંધિત વિભાગમાં રજૂઆત કરતાં જવાબ મળે છે કે મામલો મહાનગરપાલિકાનો છે, જ્યારે મહાનગરપાલિકામાં સંપર્ક કરતા તેઓ રોડ વિભાગનો વિષય હોવાનું કહે છે. જેથી આ માર્ગ કયા વિભાગના અધિકારક્ષેત્રમાં આવે છે તે સ્પષ્ટ કરવા માટે સરકાર દ્વારા યોગ્ય નિર્દેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સ્થાનિકોને ખાડાઓ અને ગટર સમસ્યામાંથી રાહત મળે તે માટે તાત્કાલિક રોડ મરામત, બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો શરૂ કરવી અને ગટર કુંડીઓની યોગ્ય રીતે સુધારણા કરવાની માંગ કરવામાં આવી છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો સ્થાનિકોને સાથે રાખીને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

