મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા ઠંડીથી બચાવવા માટે નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત 36 ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.
મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ શહેરી ઘરવિહોણા અને નિરાધાર વ્યક્તિઓ માટે નિઃશુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે છે. આ આશ્રયગૃહનું સંચાલન મોરબી મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
ગત રાત્રિના સમયે કમિશનર અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી. શાખાના સ્ટાફ અને સંસ્થાના કર્મચારીઓએ ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની મુલાકાત લીધી હતી. ઠંડીની પ્રતિકૂળ અસરથી તેમના સ્વાસ્થ્યને બચાવવા માટે, કાઉન્સેલિંગ દ્વારા તેમને આશ્રયગૃહની સુવિધાનો લાભ લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વધુને વધુ ઘરવિહોણા લોકોને આ આશ્રયગૃહની સુવિધાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

