મોરબીમાં આવતીકાલે એટલે કે તા. 24 જાન્યુઆરી, 2026ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓ પૂર્વે મોરબીના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ એવા મોટા વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત આ દરમિયાન થવાનું છે, જેને જિલ્લામાં વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
મુખ્યમંત્રીનો કાર્યક્રમ મોરબીના રવાપર-લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો રેસીડન્સી ખાતે બપોરે 1 વાગ્યે યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી મોરબી જિલ્લાને કુલ રૂ. 1042.70 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપશે. જેમાંથી પૂર્ણ થયેલા રૂ. 439.45 કરોડના વિકાસ કામો જનતાને અર્પણ કરવામાં આવશે, જ્યારે આવનારા સમયમાં શરૂ થનારા રૂ. 603.25 કરોડના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
આ લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી (શ્રમ અને રોજગાર) કાંતિલાલ અમૃતિયા, રાજ્યકક્ષાના મંત્રી (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) ત્રિકમભાઈ છાંગા, સાંસદો વિનોદભાઈ ચાવડા, પરષોત્તમભાઈ રૂપાલા, કેસરીદેવસિંહજી ઝાલા, ચંદુભાઈ શિહોરા અને પૂનમબેન માડમ તેમજ ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરિયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી અને મેઘજીભાઈ ચાવડા સહિત અગ્રણીઓની વિશેષ હાજરી રહેશે.

