મોરબીના કુંતાસી ગામના રહેવાસી પ્રતાપભાઈ રણછોડભાઈ બાબરીયાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા. 19/12/2025ના રોજ તેમના પુત્ર દિનેશભાઈ (ઉંમર 39) હીરો કંપનીની મોટરસાયકલ (રજી. નં. GJ-36-AK-3921) લઈને કુંતાસી ગામથી ગૂંગણ ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પીપળીયા ચાર રસ્તા નજીક, નિરુનગર ગામના પાટિયા પાસે એક અજાણ્યા વાહનચાલકે પોતાના વાહનને અત્યંત ઝડપી અને બેદરકારીપૂર્વક ચલાવી દિનેશભાઈની મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દિનેશભાઈને માથામાં ગંભીર ઇજા થતાં તેમનું મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બાબતે મળેલી ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

