મોરબી મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસૂલવા માટે આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. લાંબા સમયથી વેરો ન ભરતા અને જેમના બાકી લેણાં રૂ. 50 હજારથી 1 લાખની વચ્ચે છે, તેવા આસામીઓ સામે તંત્રએ કડક કાર્યવાહીના શ્રીગણેશ કર્યા છે. પાલિકાના વેરા વિભાગ દ્વારા આવા 1200 આસામીઓની યાદી તૈયાર કરી તેમને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે.
મળતી વિગત મુજબ, મોરબી શહેરમાં અનેક રહેણાંક અને વ્યાવસાયિક એકમોનો લાખો રૂપિયાનો વેરો બાકી બોલે છે. વારંવારની અપીલ અને સૂચનાઓ છતાં અનેક આસામીઓ વેરો ભરવામાં આળસ કરી રહ્યા હતા. આ સ્થિતિને ધ્યાને રાખી, નાણાકીય વર્ષના અંતિમ તબક્કા પહેલા મહત્તમ વસૂલાત કરવાના લક્ષ્યાંક સાથે મહા પાલિકાની ટીમો મેદાને ઉતરી છે.

