કેન્ટુકીના લુઇસવિલેમાં એક કાર્ગો વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા છે. ફેડરલ એવિએશન ઓથોરિટી (FAA) અનુસાર, UPS ફ્લાઇટ 2976 એ મુહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈના હોનોલુલુમાં ડેનિયલ ઇનોયે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી.
આ અકસ્માત સાંજે 5:15 વાગ્યે (સ્થાનિક સમય) થયો હતો. એરપોર્ટની દક્ષિણમાં ગાઢ ધુમાડો અને જ્વાળાઓ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં તીવ્ર જ્વાળાઓ અને કાટમાળ જોવા મળ્યો હતો. પોલીસે એરપોર્ટની 8 કિમી ત્રિજ્યામાં રહેતા લોકોને ઘરની અંદર રહેવાનો આદેશ આપ્યો છે. એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે.
યુપીએસ એરે જણાવ્યું હતું કે, વિમાનમાં ત્રણ ક્રૂ સભ્યો હતા. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિની પુષ્ટિ થઈ નથી. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિમાનમાં આશરે 25,000 ગેલન (95,000 લિટર) જેટ ઇંધણ હતું, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. મેકડોનેલ ડગ્લાસ MD-11 મોડેલનું વિમાન UPS વર્લ્ડપોર્ટ સુવિધા નજીક ક્રેશ થતાં એક વિશાળ અગ્નિના ગોળામાં ફેરવાઈ ગયું હતું.
આ મોડેલ સૌપ્રથમ 1990માં પેસેન્જર એરક્રાફ્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી વધતા ઇંધણ ખર્ચને કારણે તેને કાર્ગો એરક્રાફ્ટમાં રૂપાંતરિત કરવામાં આવ્યું. આ વિમાન લગભગ 2.8 લાખ કિલો વજન લઈને ઉડી શકે છે અને તેમાં 38,000 ગેલન (લગભગ 1.44 લાખ લિટર) જેટલું બળતણ ભરી શકાય છે. એરપોર્ટ પર 12000થી વધુ કર્મચારીઓ કામ કરે છે
આ એરપોર્ટ યુપીએસનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં 12000થી વધુ કર્મચારીઓ દરરોજ 20 લાખ પાર્સલનું સંચાલન કરે છે. આ કેન્દ્ર ૫ મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું.

