Thursday, October 9, 2025
HomeGujaratMPમાં સીરપ કાંડ બાદ સુરેન્દ્રનગર,અમદાવાદની કંપનીમાં CDSCOની તપાસ

MPમાં સીરપ કાંડ બાદ સુરેન્દ્રનગર,અમદાવાદની કંપનીમાં CDSCOની તપાસ

તાજેતરમાં જ બાળકોના ઉપયોગમાં લેવાતી કેટલીક કફ સિરપ દવાઓ ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ (Not of Standard Quality – NSQ) જાહેર કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી કફ સિરપ દવાઓ બનાવતી પેઢીઓની સઘન તપાસ કરીને અને રાજ્યવ્યાપી પગલાં લેવામાં આવી રહ્યાં છે.
ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ 624 ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપની સ્થિત છે. જે તેમના ઉત્પાદનોનો પુરવઠો રાજ્યની અંદરના અધિકૃત વિતરણકારો મારફતે તેમજ રાજ્ય બહારના વિસ્તારોમાં પણ સપ્લાય કરે છે.તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું

તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલી મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલી મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. દ્વારા ઉત્પાદિત કફ સિરપના નમૂનાઓ ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ જાહેર થયા હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ડ્રગ ઇન્સ્પેક્ટરો દ્વારા ગત તા.03 થી 05 ઓક્ટોબર દરમિયાન આ બંને પેઢીઓની જોખમ-આધારિત સંયુક્ત તપાસ કરવામાં આવી હતી.
આ સંયુક્ત તપાસના અહેવાલમાં જોવા મળેલી જુદી-જુદી ક્ષતિઓના આધારે સંયુક્ત તપાસ ટીમ દ્વારા મે. શેપ ફાર્મા પ્રા. લિ., સુરેન્દ્રનગર અને મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ., અમદાવાદને તાત્કાલિક અસરથી દવાનું ઉત્પાદન બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન ઉપરોક્ત પેઢીઓમાં “નોટ ઑફ સ્ટાન્ડર્ડ” દવાનો જથ્થો જોવા મળ્યો ન હતો. જોકે, તપાસ ટીમ દ્વારા બંને પેઢીઓને NSQ દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પાછો ખેંચી લેવા (રીકોલ કરવા) માટે પણ આદેશ કરવામાં આવ્યો છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું

આ તપાસ દરમિયાન પાણીની ગુણવત્તા, કાચામાલના સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ અને અન્ય મહત્ત્વના મુદ્દાઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે. તપાસમાં ઓરલ લિક્વિડ અથવા કફ સિરપની અલગ-અલગ બનાવટના ઓછામાં ઓછા પાંચ નમૂના લેવાની અને તે નમૂનાઓની ચકાસણી વડોદરા લેબોરેટરી દ્વારા સત્વરે કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ, ફેક્ટરીથી લઈને રિટેલર સુધીની સપ્લાય ચેઇનમાં આવેલ તમામ નોટ ઑફ સ્ટાન્ડર્ડ (NSQ) જાહેર થયેલી દવાઓનું રીકોલ FDCAના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ કરવામાં આવશે, જેથી માર્કેટમાં એક પણ અસુરક્ષિત બેચ ઉપલબ્ધ ન રહે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,140SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page