ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તા અને વિપક્ષ માટે સેમીફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનારા થોડા જ મહિનાઓમાં યોજાઇ શકે છે.
શહેરીકરણ વધતાં રાજ્ય સરકારે નવી બનાવેલી 9 મહાનગરપાલિકાઓની બેઠકોનું સીમાંકન 2011ની વસતિ ગણતરી પ્રમાણે થશે. આ દરેક નવી મહાનગર પાલિકાઓમાં શહેરી વિકાસ વિભાગે નક્કી કર્યા મુજબ 13 વોર્ડ અને 52 સીટ હોવાની શક્યતા છે. કયા વોર્ડમાં કઇ-કઇ સોસાયટી અને કયા-કયા વિસ્તારનો સમાવેશ થશે તે આ સીમાંકનમાં નક્કી કરાશે. જ્યારે બાકીની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટોમાં વધારો કે ઘટાડો નહીં થાય પરંતુ તેની OBC, SC-ST અનામત બેઠકોમાં રોટેશન થશે.
સીમાંકનમાં અનામત બેઠકોનું રોટેશન થવાથી રાજકીય પક્ષોએ પોતાનું ગણિત બદલવું પડશે. જે-તે બેઠકના મતદારોના મિજાજને ધ્યાને રાખીને ઉમેદવાર માટે નવેસરથી મંથન કરવું પડશે. થોડા દિવસો પહેલા જ રાજ્ય ચૂંટણી પંચે નવી રચાયેલી 9 મહાનગરપાલિકામાં મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણુક કરી છે. જેને આ મહાનગરપાલિકામાં ચૂંટણીની તૈયારીઓ ચાલુ થઇ હોવાના સંકેતરૂપે જોવાઇ રહી છે.
અલગ અલગ પ્રકારની ચૂંટણીઓમાં કેટલી બેઠકો હોવી જોઇએ તે વિસ્તાર અને વસતિની દૃષ્ટિએ નક્કી થતું હોય છે. આ આખી પ્રક્રિયાને સીમાંકન તરીકે ઓળખવામાં આવે છે. સમયાંતરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી માટે સીમાંકન થતું હોય છે. વિધાનસભા અને લોકસભાની બેઠકનું સીમાંકન કેન્દ્રીય સીમાંકન પંચ કરે છે. જ્યારે રાજ્યની સ્થાનિક ચૂંટણીઓ જેવી કે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોનું સીમાંકન રાજ્યનું ચૂંટણી પંચ કરે છે. છેલ્લી વસતિ ગણતરી 2011 માં થયેલી છે એટલે કોઇપણ બેઠકનું સીમાંકન તે જ વસતિ ગણતરીના આધારે થાય છે.
સીમાંકન શા માટે જરૂરી?
સમયની સાથે વસતિ વધતા દરેકને સમાન પ્રતિનિધિત્વ મળી શકે તે માટે સીમાંકન જરૂરી છે. સીમાંકન હેઠળ લોકોનું સાચું પ્રતિનિધિત્વ થઇ શકે તે માટે મત વિસ્તારને તેની વસતિના આધારે વધારવામાં આવે છે અથવા બીજા વિસ્તારમાં ભેળવી દેવામાં આવે છે.

