રાજસ્થાનના ચુરુમાં ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, તે જગુઆર ફાઇટર જેટ છે. આ દુર્ઘટનામાં વિમાનના પાઇલટ અને કો-પાઇલટ શહીદ થયા છે. ફાઇટર જેટ જેવો કાટમાળ ઘટનાસ્થળે વિખરાયેલો છે.
ચુરુના એસપી જય યાદવે જણાવ્યું હતું કે, રાજલદેસર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાનુડા ગામમાં વિમાન દુર્ઘટના ઘટી છે. આમાં બે લોકોના મોત થયા છે. રાજલદેસર પોલીસને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. કાટમાળ પાસે વિકૃત સ્થિતિમાં મૃતદેહોના ટુકડા મળી આવ્યા છે.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જગુઆર ફાઇટર જેટે શ્રી ગંગાનગર નજીક સુરતગઢ એરબેઝથી ઉડાન ભરી હતી. આ જેટ ટ્વીન સીટર હતું, ટ્વીન સીટર જેટનો ઉપયોગ તાલીમ માટે થાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, તેઓએ પહેલા વિમાનનો અવાજ સાંભળ્યો, પછી જોરદાર વિસ્ફોટ થયો. આ પછી વહીવટીતંત્રને ઘટના વિશે જાણ કરવામાં આવી. ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા પછી જ વિગતવાર માહિતી શેર કરવામાં આવશે.

