Wednesday, May 21, 2025
HomeGujaratરાજકોટમાં બેફામ બની સીટી બસ, 7થી વધુ વાહનોને હડફેટે લેતા 4 લોકોના...

રાજકોટમાં બેફામ બની સીટી બસ, 7થી વધુ વાહનોને હડફેટે લેતા 4 લોકોના મોત અને 4 લોકો ઈજાગ્રસ્ત

રાજકોટમાં એક સિટી બસચાલકે બેફામ બસ હંકારી 6-7 વાહનોને અડફેટે લેતા 4 લોકોના મોત અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ બાદ આક્રોશિત જનતા રસ્તા પર આવી ગઈ અને બસમાં તોડફોડ અને ડ્રાઇવરને માર મારી ગંભીર ઈજાગ્રસ્ત કરી દીધો હતો.

મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટીબસના ચાલકે આજે (16 એપ્રિલ) વધુ એક અકસ્માત સર્જ્યો છે. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી માતેલા સાંઢ માફક આવતી સિટીબસના ચાલકે એક સાથે બે રીક્ષા તેમજ પાંચથી છ જેટલા ટુ વહીલર વાહનોને અડફેટે લીધા હતા અને નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી વળતા કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. જયારે બસચાલક સહીત કુલ ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતના મામલે RMC મૃતકોને 15 લાખ, ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય કરશે.

આ ઘટના મૃતક પામેલા લોકોમાં રાજુભાઈ ગીડા, સંગીતાબેન નેપાળી, કિરણબેન ચંદ્રેશકુમાર કક્કડ અને ચિન્મયભાઈ ઉર્ફે લાલો જીગ્નેશ ભટ્ટનો સમાવેશ થાય છે. જયારે ઈજાગ્રસ્તોની યાદીમાં સુરજ ધર્મેશ રાવલ, વિશાલ રાજેશ મકવાણા, વિરાજબા મહાવીરસિંહ ખાચર અને શિશુપાલસિંહ રાણાનો સમાવેશ થાય છે.

ચિન્મય ભટ્ટના પિતાનું 15 દિવસ પહેલાં જ મૃત્યુ થયુ હતુ. મૃતક ચિન્મય ઉર્ફે લાલો ભટ્ટ ઉ.વ 25, રાજકોટના હાથી ખાના વિસ્તારમાં રહે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે નોકરી કરતો હતો, ચિન્મયના પિતા હર્ષદભાઈનું 15 દિવસ પહેલા જ મૃત્યુ થયું હતું. ચિન્મયના પિતા હર્ષદભાઈ નાગરિક બેંકમાં નોકરી કરતા હતા. મૃતક યુવાનના માતા અગાઉ જ મૃત્યુ પામ્યા હતા અને 15 દિવસ પહેલા પિતાનું મૃત્યુ અને આજે ભાઈનું મૃત્યુ થતાં બહેન ઉન્નતિબેન ભટ્ટ નોંધારા બન્યા છે.

અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે. તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે. ઈજાગ્રસ્તો પૈકી બસચાલક શિશુપાલસિંહ રાણા ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે. જેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે. અકસ્માત સર્જાતા રોષે ભરાયેલા લોકોના ટોળાએ સિટી બસ ઉપર પત્થરમારો કરી બસના કાચ ફોડી દીધા હતા અને ટ્રાફિક જામ કરો દીધો હતો. જેને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી હળવો બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
52,043FollowersFollow
2,900SubscribersSubscribe

TRENDING NOW