રાજકોટની જાણીતી વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં સવારે 9 વાગ્યે આગ લાગી હોવાનો ફાયર વિભાગને કોલ આવતા ફાયર વિભાગની ટીમ દોડતી થઇ હતી શરૂઆતમાં એક ફાયર બ્રાઉઝરથી આગ બુઝાવવા પ્રયાસ કર્યા બાદ આગ વિકરાળ હોવાથી વધુ ચાર ગાડી સ્થળે બોલાવામાં આવી છે. હાલમાં 50થી વધુ ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સાડા 4 કલાક કરતા પણ આગને કારણે મોટું નુકસાન થવા પામ્યું છે. શરૂઆતમાં આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર સુધી દેખાયા હતાં.
BKZ ફૂડ લિમિટેડ એચઆર મેનેજરે દાવો કર્યો હતો કે સવારે 9.15 આસપાસ મને કોલ આવ્યો હતો કે, કંપનીમાં આગ લાગી છે, જેથી મેં તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરી તેમજ ચોખડા સર્કલથી ફાયરની ગાડીઓ સાથે જ આવ્યો હતો. વેફર્સ અને નમકીનની કંપની હોવાથી આગ વધુ ફેલાય તેવું તમામ મટિરિયલ હોવાથી આગ વધારે ફેલાઈ છે. આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. કંપનીમાં 200થી 250 જેટલા કર્મચારી કામ કરે છે, તમામને સલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતાં.

