અમદાવાદના નિકોલ વિસ્તારમાં મનમોહન પાર્ક નજીક ડી માર્ટ મોલની નિર્માણાધીન સાઈટ પર ભેખડ ઘસી પડવાની ઘટના બની છે. ભેખડ ધસી પડતાં બે મજૂરો દટાયા હતા. જેમાંથી એકનું મોત નીપજ્યું છે, જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો છે. ઘટના અંગેની જાણ ફાયરબ્રિગેડની ટીમને થતાં ત્રણથી વધુ ગાડીઓ રેસ્ક્યૂ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ભેખડમાં દટાયેલા બંને મજૂરોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ફાયર બ્રિગેડને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે, નિકોલ- વિરાટનગર રોડ પર મનમોહન પાર્ક ચાર રસ્તા નજીક નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટના ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડવાની ઘટના બની છે અને કેટલાક લોકો દટાયા છે. જેથી ફાયર સ્ટેશનની બેથી વધુ ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યૂ શરૂ કરીને એક વ્યક્તિને સભાન હાલતમાં બહાર કાઢ્યો હતો અને સારવાર અર્થે 108માં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજા વ્યક્તિને પણ 15 થી 20 મિનિટમાં બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એકનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ ઉપર કોઈપણ જવાબદાર વ્યક્તિ હાજર નહોતું. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. નિકોલ પોલીસના જણાવ્યા મુજબ નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના મામલે બે મજૂરોમાંથી એક મજૂરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જે કન્સ્ટ્રક્શન સાઇટ પર ઘટના બની ત્યાં નવું ડી માર્ટ બની રહ્યું હતું. કામગીરી દરમિયાન ભેખડતા બે મજૂરો દટાયા હતા.

