માળીયાના નાની બરાર ગામે રહેતા કરશનભાઈ જશાભાઈ બકુત્રાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.1ના રોજ તેમના કાકાનો દીકરો કિશન ચંદુભાઈ બકુત્રા નામનો યુવાન જાજાસર ગામે શક્તિ માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. જ્યાં તેનો મિત્ર કેટીએમ બાઈક લઈને આવ્યો હોય કિશન બાઇકની ચક્કર મારવા નીકળતા નાની બરારથી જાજાસર ગામ તરફ આવતો હોય તે દરમિયાન રોડ ઉપર GJ-10-U-4172 નંબરની છકડો રીક્ષાના ચાલક દિનેશ દેવદાનભાઈ ચાવડાએ પુર ઝડપે અને ગફલતભરી રીતે રિક્ષા ચલાવી સામેથી આવતા મોટરસાયકલ સાથે રીક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રીક્ષા ચાલક દિનેશ ચાવડા અને રીક્ષામાં બેઠેલા બે મુસાફરોને પણ ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે તેમજ ગંભીર ઇજાઓ પહોંચતા કિશનનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ માળીયા મિયાણા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

