અમરેલીના રાંઢીયા ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી 4 બાળકોના મોત થયા છે. રમતા રમતા બાળકો ચાવીથી ખોલી કારમાં બેસી ગયા હતા. જે બાદ કાર લોક થઈ ગઈ હતી. જેથી કારના દરવાજા ન ખુલતા ગૂંગળાય જવાના કારણે તમામ બાળકોના મોત થયા છે. માતા-પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા. જે બાદ આ ઘટના બની હતી. મધ્યપ્રદેશના પરપ્રાંતી પરિવારના 4 બાળકોના મોત થયા છે. એક જ પરિવારના 2 દીકરી અને 2 દીકરાના ગૂંગળાઈ જવાથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મુત્યુ અંગે ગુનો નોંધ્યો છે. આ મામલે ડીવાયએએપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, અમરેલી તાલુકાના રાંઢીયા ગામે ભતરભાઇ માંડાણીના ખેતરમાં ખેત મજૂરી કરતાં મધ્યપ્રદેશના સોબીયાભાઇ મછારને સાત બાળકો છે. ગત બે તારીખ અને શનિવારના રોજ સોબીયાભાઇ અને એમના પત્ની ખેત મજૂરી કરતાં હતા. જ્યારે એમના બાળકો ઘરે હતા. તે દરમિયાન વાડી માલિકની આઈ-20 કારને ચાવીથી ખોલીને એમના ચાર બાળકો રમવા ગયા હતા. આ દરમિયાન કાર લોક થઇ ગઇ હતી. સાંજે એમના માતા-પિતા ખેત મજૂરી કરીને ઘરે આવ્યાં ત્યારે એમની સાત અને ચાર વર્ષની બે દીકરી જેમના નામ સુનિતા અને સાવિત્રી, જ્યારે બે વર્ષ અને પાંચ વર્ષના કાર્તિક અને વિષ્ણુ નામના બે દીકરા આમ ચારેય બાળકો કારમાં ગુંગળાણના કારણે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

