મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અઘ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા સંકલન સમિતિના ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદ અને ધારાસભ્યો દ્વારા જનહિત માટે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અન્વયે કાર્યક્ષમ કામગીરી કરવા જિલ્લા કલેક્ટર કે બી ઝવેરીએ વહીવટી તંત્રના તમામ અધિકારીઓને કડક સૂચના આપી હતી.બેઠકની શરૂઆતમાં જ કલેક્ટરએ જિલ્લાની તમામ કચેરીઓમાં ૧૦:૩૦ પહેલા તમામ અધિકારીઓ-કર્મચારીઓ હાજર થઈ જાય અને ૧૦:૩૦ સુધીમાં કચેરીની કામગીરી શરૂ થઈ જાય તથા સાંજે ૦૬:૧૦ સુધી કામગીરી શરૂ રાખવાં તેમજ ૦૬:૧૦ પહેલા કોઈ પણ અધિકારી કે કર્મચારીઓ કચેરી ન છોડે તે માટે તમામ કચેરીઓના વડાઓને તકેદારી રાખવા ગંભીરતાપૂર્વક તાકીદ કરી હતી. જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓને સરકારી લેણાંની વસુલાત માટે કાયદાકીય જોગવાઈ હેઠળ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવા કલેક્ટરએ સૂચના આપી હતી. મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમો માટે પાણીની વ્યવસ્થા અંગે તેમણે પૃચ્છા કરી ઔદ્યોગિક પાણી જોડાણ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માટે તથા જિલ્લામાં મામલતદાર કચેરી સિવાય અન્ય તમામ ઉપલબ્ધ આધારકાર્ડની કીટનો લોકહિતાર્થે ઉપયોગ થાય તે માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ તેમણે સૂચન કર્યા હતા.
માળીયા તાલુકામાં વરસાદી સીઝનમાં સર્જાતી પરિસ્થિતિ નિવારવા સબંધિત વિભાગોને સોંપવામાં આવેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. કલેક્ટરએ રેલવેના નાળા, ખીરઈ પાસે પાણી ઓવરલેપીંગ થાય છે તે સ્થળ, રાસંગપર પાસેનું નાળું તથા મીઠાના પાળા સહિત અંગેની કામગીરી ઝડપી કરવા સબંધિત વિભાગોને તાકીદ કરી હતી.
આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફીસર, વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

