ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણા અને સરકારશ્રીની પહેલ થકી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી આત્મનિર્ભર અને સ્વાવલંબી બની આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ બન્યા છે. ત્યારે પ્રાકૃતિક કૃષિની સાથે ગાયના સંવર્ધન માટે સરકાર દ્વારા ગાય નિભાવ ખર્ચની યોજના પણ અમલી કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં ગાય આધારિત ખેતી કરતા અનેક ખેડૂતો જિલ્લાને આત્મનિર્ભર બનાવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સાથે સાથે સરકારની ગાય નિભાવ ખર્ચની યોજનાનો લાભ પણ મેળવી રહ્યા છે.
વેદ પુરાણ અને પુરાતન સમયથી આપણી સંસ્કૃતિમાં ગાયને માતા કહેવામાં આવી છે અને સદીઓથી ગાયનું પૂજન થતું આવ્યું છે. હાલ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં વૈજ્ઞાનિક ઢબે પણ સાબિત થયું છે કે, ખેતીમાં જ્યારે ગાયના ગૌમુત્ર અને છાણમાંથી બનતા ઘનજીવામૃત, જીવામૃત વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ખેતીમાં આપમેળે કરોડો જીવાણુઓ અને બેક્ટેરિયા અને અળસિયા વગેરે ઉત્પન્ન થાય છે. ત્યારે પ્રાકૃતિક કૃષિની સાથે ગાયના સંવર્ધનને મહત્વ આપવા ગાય નિભાવ ખર્ચની યોજના અમલી છે.
મોરબી જિલ્લામાં ગત વર્ષ 2023-24 દરમિયાન મોરબી જિલ્લામાં પ્રથમ 6 માસિક તબક્કામાં ૨૮૦૫ લાભાર્થીઓને અંદાજીત રૂ. 1,51,47,000 જ્યારે બીજા તબક્કામાં 2757 લાભાર્થીઓને અંદાજીત રૂ. 1,48,87,800 મળી કુલ રૂ. 3,00,34,800ની ગાય નિભાવ ખર્ચ માટેની સહાય ચુકવવામાં આવી છે.
મોરબી જિલ્લામાં વાત કરીએ તો, વાંકાનેર તાલુકાના 501 લાભાર્થીઓ, મોરબી તાલુકાના 271 લાભાર્થીઓ, માળિયા તાલુકાના 219 લાભાર્થીઓ, ટંકારા તાલુકાના 962 લાભાર્થીઓ તેમજ હળવદ તાલુકાના 852 લાભાર્થીઓ મળી કુલ 2805 લાભાર્થીઓએ ગાય નિભાવ ખર્ચની યોજનામાં પ્રથમ તબક્કામાં લાભ મેળવ્યો છે, જ્યારે બીજા તબક્કામાં 2757 લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. આ વર્ષે પ્રથમ 6 માસિક તબક્કાની સહાય માટે મોરબી આત્માની કચેરી દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભર ભારત બનાવવાનું પ્રથમ પગલું છે અને તેમા પણ દેશી ગાયનો મહત્વનો ફાળો રહ્યો છે. ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ થતો નથી, તેથી તે ખૂબ જ ઓછા ખર્ચે થતી ખેતી છે. ખેડુતો આજે પ્રાકૃતિક ખેતી કરતાં થાય તે માટે સરકારે દેશી ગાયના નિભાવ માટેની યોજના અમલમાં મુકી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ રૂપિયા 900 પ્રમાણે ગાય પાલક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ કરવાની શરતે ગાય નિભાવ ખર્ચમાં સહાય આપવામા આવે છે.
રાજ્યના ખેડૂતો સહિત મોરબી જિલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવે અને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધારે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી એટલે ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા ઓછા ખર્ચે પાક વૃદ્ધિ અને ઉત્પાદન વધારવા માટે કરવામાં આવતી ખેતી. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020-21 માં નવી યોજનાઓ બહાર પાડવામાં આવી હતી. આ યોજનાઓ પૈકી દેશી ગાય માટે સહાય આપવાની યોજના પણ મહત્વની છે.

