લાંબા સમયથી મેઘરાજાની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે ઇન્તેજારી આં સપ્તાહમાં પૂર્ણ થઇ ગઈ છે આ સપ્તાહ દરમિયાન અલગ અલગ સમય સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઈ છે. તેમજ આગામી 3-4 દિવસ હજુ વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો મોરબી જિલ્લામાં બપોર સુધી ઉકળાટ અને અસહ્ય ગરમી પડ્યા બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતોં અને સૌ પ્રથમ મોરબી શહેરમાં ગાજ વીજ સાથે વરસાદની શરૂઆત થઇ હતી અને લગભગ 20 -25 મીનીટ સુધી સમગ્ર મોરબી શહેરમાં વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને તેના કારણે આકરી ગરમીમાંથી થોડી રાહત મળી હતી. તો શહેરના માર્ગો જળ મગ્ન થઇ ગયા હતા મોરબી બાદ ટંકારા હળવદ અને વાંકાનેરમાંથી પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા શુક્રવારે સાંજે 8 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાના 4 તાલુકામાં 4 મીમી થી લઇ 24 મીમી સુધી વરસાદ થયો હતો જોકે માળિયા મિયાણા તાલુકો આખો દિવસ કોરો કટ્ટ રહ્યો હતો.
મોરબી જિલ્લામાં ગયા સપ્તાહ દરમ્યાન પ્રી મોન્સુન વરસાદ તેમજ ચાલુ સપ્તાહ દરમિયાન ચોમાસું વરસાદ ને પગલે આજ દિન સુધીમાં સીઝનનો કુલ 12 .27 ટકા વરસાદ વરસી ગયો છે તાલુકા મુજબ જોઈએ તો હળવદ તાલુકામાં 28 જુનના રાતના 8 વાગ્યા સુધીમાં કુલ 69 મીમી વરસાદ નોધાયો છે જે સીઝનનો 13 .93 ટકા છે જયારે માળિયા મિયાણા માત્ર 15 મીમી છે સીઝનનો 2.96 ટકા છે મોરબી તાલુકામાં 35 મીમી સાથે 5.29 ટકા ટંકારામાં 172 મીમી વરસાદ સાથે 26.25 ટકા વરસાદ વરસી ગયો છે આ ઉપરાંત વાંકાનેર તાલુકામાં 70 મીમી સાથે 12 .93 ટકા વરસાદ નોધાયો છે આમ જિલ્લામાં સીઝન દરમિયાન 12 .27 ટકા વરસાદ નોધાયો છે
લાંબા સમયથી ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતો. જે રાહ હવે મહદ અંશે ઓછી થઈ હોય તેમ લાગે છે મોરબી ટંકારા અને હળવદ તાલુકાના ઘણા ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતોએ વાવણી શરુ કરી દીધી છે, તો વાંકાનેરમાં કેટલાક ગામડામાં વરસાદ થયો છે, પરંતુ હજુ કેટલાય ગામડામાં વાવણી લાયક વરસાદ નથી થયો તો આવી સ્થિતિ માળિયા મિયાણા તાલુકાની છે જ્યાં ખેડૂતો તમામ તૈયારી પૂર્ણ કરીને વાવણી લાયક વરસાદ થવાની રાહ જોઈ રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે જો આ આગાહી સાચી ઠરે તો જિલ્લામાં જે ગામમાં વરસાદની રાહ જોવાઈ રહી છે તેવા ખેડૂતોની આંખો ઠરી શકે છે. શહેરમાં પોણા ઇંચ વરસાદથી મુખ્ય માર્ગો જળમગ્ન થયા.
મોરબી પાલિકા દ્વારા ભલે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવતા હોય પણ સ્થિતિ જેમને તેમ રહે છે. કુદરતી પાણીના નિકાલના રસ્તાઓ બંધ થઇ ગયા છે. ભૂગર્ભ ગટર લાઈન અને વોકળા તેમજ નાલાની સફાઈની કેવી સફાઈ થાય તે તો ખુદ પાલિકા જાણે કારણ કે, મોરબીના કન્યા છાત્રાલય રોડ હોય કે સરદાર બાગ નહેરુ ગેટ ચોક પાસે આવેલા બુઢાબાવા શેરીવાડી લાઈન શાક માર્કેટ પાછળનો ભાગ, કાયાજી પ્લોટ લાતી પ્લોટ તેમજ સાવસરપ્લોટ વિસ્તારમાં પાણી ભરાયા હતા અને કલાકો સુધી પાણી ઓસર્યા ન હતા જેના કારણે લોકોને હાલાકી પડી હતી. તો શહેરના મોટા ભાગના વિસ્તારની સ્ટ્રીટ લાઈટપણ બંધ હોવાથી રાત્રીના સમયે વાહન ચાલકો ને જાણે પડ્યા પર પાટું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.