મધર્સ ડે સ્પેશિયલ : મોરબીમાં વાત્સલ્યમૂર્તિ માં એ પુત્રને કિડનીનું દાન કરી આપ્યુ નવજીવન
“મીઠા મધુરને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી મોરી માત,
જનની ની જોડ સખી નહી જડે રે લોલ”
માતા પિતા સંતાનો નું પોતાના જીવ કરતા વધારે વહાલ કરીને જતન કરે છે. અને પુત્ર પર જ્યારે આપત્તિ પડે ત્યારે પોતાનાથી બનતુ તમામ કરી છુટતા હોય છે. આવા જ એક કિસ્સામાં મોરબીમાં વાત્સલ્યમૂર્તિ માં એ પોતાની જીંદગી હોડમાં મુકીને પુત્રને મૃત્યુની કાળી છાયામાંથી ઉગારી લીધો છે. પુત્રની બંને કિડની ફેઈલ થઈ જતા માતાએ પોતાની એક કિડની તેને દાનમાં આપીને બીજો જન્મ આપ્યો છે.
મોરબીના સામાકાઠે આવેલા સો-ઓરડી મેઈન રોડ રામદેવપીરના મંદિર નજીક રહેતા મણીબેન મુળજીભાઈ મુછડીયા(ઉ.વ.૪૯)ને બે પુત્ર અને ત્રણ પુત્રી એમ પાંચ સંતાનો છે. તેઓ મજુરી કામ કરી પેટે પાટા બાંધી પાંચેય સંતાનોને ભણાવી ગણાવીને ધામધુમથી લગ્ન કર્યા હતા. સાધારણ આર્થિક પરિસ્થિતિ હોવા છતા મણીબેન અને તેમનો પરીવાર હસી-ખુશી થી જીવન વિતાવ્યે જતા હતા. એવામાં તેમની ખુશીને જાણે કોઈની નજર લાગી હોય તેમ ૨૦૧૬માં અણધારી આપતી આવી પડી હતી. મોટા પુત્ર વિજયભાઈ(ઉ.વ.28)ને વર્ષ 2016માં ૫થમ માસમાં બ્લડપ્રેશરની વધુ તકલીફ રહેતી હોવાથી એ વખતે તેમણે તબીબી નિદાન કરાવ્યું હતું. ત્યારે રિપોર્ટમાં વિજયભાઈને બંને કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું જાહેર થતા પુત્રની સાથે માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
પોતાના જીવથી પણ વધુ વ્હાલા પુત્રને બચાવવા માટે પોતાની જીંદગી નો જરાય વિચાર કર્યા વગર માતાએ પોતાની એક કિડની દાનમાં આપવા નો મક્કમ નિર્ધાર કરી લીધો અને તેમની કિડની પુત્રની કિડની સાથે મેચ થતા ટ્રાન્સફર કરવામાં આવી આમ માતા મણીબેને પોતાની કિડની જુવાન જોધ પુત્રને દાન આપીને તેને બીજો જન્મ આપ્યો છે. જેના થકી પુત્ર અત્યારે નોર્મલ લાઈક જીવે છે. અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે માતા એક કિડની પર જીવતા હોવા છતા પરિવારને મદદરૂપ થવા માટે આટલી ઉંમરે હજી મજુરી કામ કરે છે. તેમને કોઈ ફરીયાદ ને બદલે મનમાં એ બાબતે રાજીપો છે કે, તેમની કિડની શકી તેમના પુત્રનું જીવન બચી ગયુ.