શિક્ષણ ક્ષેત્રમાં આગવી ભૂમીકા ભજવતા શિક્ષકોને દર વર્ષે રાજય સરકારથી લઇ રાષ્ટ્રપતિ સુધી સન્માનિત કરવામાં આવતા હોય છે જોકે આ સન્માન બાદ તેમની સમસ્યા તેમજ અન્ય મુશ્કેલી બાબતમાં તંત્ર ઓરમાયું વર્તન કરતું હોય છે જેથી તેના હિત માટે ગુજરાતમાં રાષ્ટ્રીય અને રાજ્ય એવોર્ડી શિક્ષકોનું ફેડરેશન વર્ષ – ૧૯૯૫ થી કાર્યરત છે, એવોર્ડી ટીચર્સ ફેડરેશન શૈક્ષણિક અને સામાજિક બાબતોમાં વર્ષોથી પોતાનું ઉત્તરદાયિત્વ ખુબજ સારી રીતે નિભાવી રહ્યું છે ત્યારે આ સંગઠન દ્વારા આવા એવોર્ડ વિજેતા શિક્ષકોની સમસ્યા અને માંગણી ને લઇ ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરવામાં આવી છે
મોરબી જિલ્લામાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા સન્માનિત ઘણા બધા શિક્ષકોની સાથે સામેલ રજુઆત અન્વયે ગુજરાત રાજ્યના વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો, પ્રોજેક્ટો અને વિવિધ પરીક્ષાઓમાં એવોર્ડ મેળવેલા શિક્ષકોની સેવા લેવાય, ગુજરાત રાજ્યની નિગમની તમામ પ્રકારની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી માટે અમલ થાય, ગુજરાતની બસ જ્યાં જ્યાં જાય ત્યાં સુધી મુસાફરીનો લાભ મળવો જોઈએ હાલ લોકલ,એક્સપ્રેસ અને ગુર્જર નગરી બસોમાં જ સુવિધાઓ મળે છે.મંડળને સરકાર તરફથી માન્યતા મળે.એવોર્ડી ટીચર્સને એક વધારાનો ઈજાફો આપવામાં આવે એ બધી એમની પડતર માંગણીઓ,પડળતર પ્રશ્નો હલ કરવા મોહનભાઈ કૂંડારિયા સાંસદ રાજકોટ, કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના સાંસદ, દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી,કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય મોરબી-માળિયા વગેરેને રજૂઆત કરી હતી,રજુઆતમાં દિનેશભાઈ વડસોલા, કમલેશ દલસાણીયા, દિનેશભાઈ ભેંસદડિયા, વિજયભાઈ દલસાણીયા, હર્ષદભાઈ મારવણીયા,જીતેન્દ્ર પાંચોટીયા,રમેશભાઈ પટેલ, શૈલેષભાઈ કાલરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

