મોરબીથી થોડા અંતરે આવેલું ખાનપર ગામ 600 વર્ષ જૂનો ઇતિહાસ ધરબીને બેઠું છે.આ ગામ વિશે ચમત્કાર અને ધાર્મિક તેમજ આધ્યાત્મિકતાની અનેક લોકવાયકા પ્રચલિત છે. ખરેખર આ ગામ કોમી એકતાનુ પ્રતિક છે. તરબૂચ ઉત્પાદન માટે જાણીતા આ ગામમાં નવી પેઢી ધંધા વ્યવસાય અને શિક્ષણ માટે શહેર તરફ વળી જતા હવે ગામમાં વસ્તી ખુબ ઓછી છે તેમાં પણ ખેતી તરબૂચની ખેતી કરનાર હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ રહ્યા છે
મોરબીના ખાનપર ગામના ખાનપર ગામ અંત્યારે જે જગ્યાએ વસેલું છે,એના પહેલા સામાકાંઠે નદીની પેલે પાર નેસડા ગામના રસ્તે 600 વર્ષ પહેલાં ગામ સ્થપાયેલું હોવાની લોકવાયકા છે. તેમાંય તેઓ આધાર પુરાવા સાથે તેમના જીવાણી પરિવારના પૂર્વજોએ વસવાટ કર્યાને 2024માં 379મુ વર્ષ થાય છે. આજની તારીખે ગામમાં અંદાજીત 5 હજાર જેટલી વસ્તી છે. જેમાં એક પીઆઇ, ત્રણ ચાર પોલીસ અધિકારી, કોન્સ્ટેબલ , બે ડોકટર, અનેક શિક્ષકો તેમજ સાતથી આઠ વિદ્યાર્થીઓ જિપીએસસીની તૈયારી કરતા હોય અંદાજીત 60 ટકા શિક્ષિત વર્ગ છે. લોકવાયકા મુજબ આજથી 600 વર્ષ પહેલાં અહીં સિપાય તરીકે ખાન પરિવાર વસતો હોવાથી તેમના નામ પરથી આ ગામનું નામ ખાનપર પડ્યું હતું.હજુ એના વંશજો મોરબીના સિપાઇવાસમાં રહે છે. તેમ ગામના અગ્રણી જીતુભાઈએ જણાવ્યું હતું
બીજી લોકવાયકા એવી છે કે ખાનપરનું તોરણ કાંજીયા પરિવારે બાંધેલું,હાલ આ પરિવારના કોઈ ગામમાં વસતા ન હોય પણ તેના વર્ષો પહેલાના પૂર્વજોની ખાંભી આવેલી છે. રાજાશાહીમાં અહીંયા ગઢ હતો અને મોટો વંડો હોય ધાંડાપાડું આવતા ત્યારે ગામમાં બધા ડેલી બંધ કરીને સંતાય જતા, એ ગઢની અંદર ચારણોના નેશ કુબા એટલે રહેઠાણ હોય ત્યારે રાજાએ ખાલી કરવાનું કહેતા ચારણી હાજર ન હોય સ્ત્રીઓ જ હોવાથી એ વખતે સતીમાં ધરતીમાં સમાય ગયા હોવાની લોકવાયકા છે. ત્યારબાદ 100 વર્ષ પહેલાં એ સતીમાં મિમાં માતાજી તરીકે પ્રગટ થતાં આ માતાજીનું ભવ્ય ઐતિહાસિક મંદિર હોય આ માતાજીને ગામના દરેક હિન્દૂ કે મુસ્લિમ સૌ કોઈ એમને પૂજે છે. આ ગામ કોમી એકતાની અનોખી મિશાલ સમાન છે. કારણ કે ગામના ચોકની અંદર ત્રણ મંદિરની વચ્ચોવચ દરગાહ હોય એટલે ઈદ અને દિવાળી, નવરાત્રી સહિતના દરેક ઉત્સવો ગામના બધા જ લોકો હળીમળીને ઉજવે છે. અત્યાર સુધીમાં કોમવાદ વિશે કે જાતિને લઈને કોઈ કશું જ બોલ્યા નથી. આરોગ્ય, હાઇસ્કુલ સુધીનું શિક્ષણ,ગટર, પાણી, સારા રોડ રસ્તા સહિતની સુવિધા હોવાથી ગામલોકોને એકેય વાતનું દુઃખ નથી.

