નેતા ગોપાલ ઈટાલિયાના વિવાદિત વીડિયોને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. આથી, AAP નેતા ગોપાલ ઈટાલિયાએ વિવાદિત વીડિયો અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે વીડિયો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, હું પાટીદાર છું એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ભાજપ પાટીદાર વિરોધી માનસિકતા ધરાવે છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી પાટીદાર વિરોધી પાર્ટી હોવાના કારણે મને હેરાન કરે છે.
આંદોલનના કારણે ભાજપને ઘણું નુકસાન થયુ છે. તે નુકસાન થવાથી ભાજપ પાટીદાર વિરોધી થઈ ગયુ છે. ભાજપના પેટમાં તેલ રેડાયુ છે. રોજ મારા નવા વીડિયો આવે છે.
ખેડૂતો એમ પૂછે છે કે, તેમને આત્મહત્યાથી છૂટકારો ક્યારે મળશે, ક્યારે સિંચાઈનું પાણી મળશે, ક્યારે 12 કલાક વીજળી મળશે, દિવસે વીજળી મળશે. ભાજપવાળા કહે છે કે ગોપાલનો વીડિયો જુઓ, શું બોલી રહ્યો છે. આ રાજ્યના લોકો એમ પૂછી રહ્યા છે, સાડા છ કરોડ ગુજરાતીઓ પૂછી રહ્યા છે મોંઘવારીથી છૂટકારો કેમ મળશે.
ભાજપવાળા કહે છે કે ગોપાલની ભાષા જુઓ કેવુ બોલે છે. ગોપાલની ભાષા ભાજપવાળા જેવી સારી ના હોય કારણ કે, ભાજપવાળા જેવુ શાતિર દિમાગ નથી મારી પાસે. હું ગરીબ માણસ, ગામડાંનો નાનો માણસ, બની શકે ભાજપવાળા જેવુ શાતિર-ચાલાક બોલતા મને ન આવડે. પણ ગુજરાતની જનતાને જવાબ આપવાથી બચવાનો આ રસ્તો યોગ્ય નથી.
ગોપાલ ઈટાલિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ગોપાલ ઈટાલિયા પટેલ છે અને BJPએ પટેલ વિરોધી પાર્ટી છે. કારણ કે, આંદોલન સાથે આ બધા જોડાયેલા લોકો છે અને આંદોલનના કારણે BJPને ખૂબ જ નુકસાન થયુ છે એટલે આ પટેલ વિરોધી માનસિકતાના કારણે મારા જેવા એક સામાન્ય માણસને હેરાન કરવામાં આવી રહ્યો છે.
મેં બધાને પૂછ્યું કે મારો વાંક શું છે? મેં પેપરો ફોડ્યા નથી, મેં દારૂ વેચ્યો નથી બુટલેગરોની જેમ, મેં રોડ તોડ્યા નથી, મેં આ ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર કર્યો નથી. મેં રૂપિયા ખાધા નથી, મેં લાંચ લીધી નથી, મેં કોઈ ખોટું કામ નથી કર્યું છતા શું કામ ભાજપવાળા આટલી હદે હેરાનગતિ કરી રહ્યા છે?

