ઉત્તર પ્રદેશના ભદોહીમાં દુર્ગા પૂજા પંડાલમાં આગ લાગવાને કારણે બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા છે અને 64 લોકો દાઝી ગયા છે. ડીએમ ગૌરાંગ રાઠીએ જણાવ્યું કે, આ ઘટનામાં 5 લોકોનાં મોત થયાં હતાં જેમાં 3 બાળક અને એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ દર્દીઓને વારાણસી રીફર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના સમયે પંડાલમાં લગભગ 200 લોકો હાજર હતા. આરતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, તપાસ પૂર્ણ થયા સુધી આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કહી શકાય તેમ નથી.
ઘટનામાં અત્યાર સુધીની માહિતી મુજબ 64 જેટલા લોકો દાઝી ગયા છે. જેમાંથી 32 લોકોને વારાણસી રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ઘાયલ એક મહિલાએ જણાવ્યું કે, ઈલેક્ટ્રિક વાયરમાંથી નીકળતી સ્પાર્કને કારણે આગ લાગી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે કારણ કે, અમે અગાઉથી જ તમામ સાવચેતી રાખી હતી. પરંતુ આ આગ કેવી રીતે લાગી તે અંગે વિગતવાર માહિતી મેળવવી જરૂરી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હોવાનું જણાય છે પરંતુ અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં આગનું મુખ્ય કારણ પણ જાણી શકાશે. આ ઘટના પાછળ જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

