વાંકાનેરના ધીયાવાડમાં આવેલી વાડીમાં રહેતાં ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા મજુર પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય આ શ્રમિક પરિવારની બે સગીર વયની દીકરીઓએ ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં સગીર બહેનોની માતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોય જે બાબતે લાગી આવતા આ પગલું ભર્યુ હતું.
મળતી માહિતી મુજબ વાંકાનેરના ધિયાવાડમાં આવેલી નરેન્દ્રસિંહની વાડીમાં રહી ખેતમજૂરી કરતા દુરસિંહ કટાભાઈ રાઠવાની બંને સગીર વયની દીકરીઓ હિના અને રશ્મિકાએ ગત સાંજે ઝેરી દવા પી લેતા બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા કે.ટી.ચિલ્ડ્રનના પીઆઈસીયુ યુનિટમાં બંનેને દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને સમગ્ર મામલે જાણ કરી હતી.હોસ્પિટલ બિછાનેથી બંને સગીર વયની બાળકીઓએ જણાવ્યું હતું કે પોતાને છોડીને માતા કોઈ શખ્સ સાથે ભાગી જતા લાગી આવતા બનેંએ દવા પી લીધી હતી. દરમિયાન સગીરાના પિતાએ જણાવ્યું હતું કે અમારી વાડી નજીક એક ભરવાડ શખ્સ ઢોર ચરાવવા આવતો હોય તેની સાથે મારી પત્નીની આંખ મળી ગઈ હતી અને તે મને અને મારી ચાર દીકરીઓને મૂકીને તેને સાથે ભાગી ગઈ હોવાની શંકા છે. હાલ મે આ બાબતે પોલીસમાં રજૂઆત કરી હતી. ત્યાં ગત સાંજે મારી બંને દીકરીઓએ આ પગલું ભરી લીધું હતું.

