દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદના એક રીક્ષા ડ્રાઈવેર તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ અરવિંદ કેજરીવાલને લઇ રીક્ષા ડ્રાઈવર ઘાટલોડિયાના દંતાણી નગરમાં તેના ઘરે પહોંચ્યો હતો. જ્યાં અરવિંદ કેજરીવાલ રીક્ષા ડ્રાઈવર સાથે જમ્યાં હતા. અરવિંદ કેજરીવાલે રીક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા બાદ જણાવ્યું હતું કે વિક્રમભાઈ અને તેમના પરિવારે મને જમાડ્યો અને ખૂબ જ સારું જમવાનું બનાવ્યું હતું.
વિક્રમભાઈ અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવી તેમની રીક્ષામાં લઇ ઘર તરફ રવાના થયા હતા. દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષાને લઇ પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલ રીક્ષામાં જતા અટકાવવામાં આવ્યા હતા. પરંતુ લેખિતમાં સુરક્ષાને લઈ અને બાહેધરી આપી હતી. ત્યારબાદ પોલીસ સુરક્ષામાં અરવિંદ કેજરીવાલ વિક્રમભાઈના ઘરે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકો અને આપ કાર્યકર્તાઓ ભેગા થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રીક્ષા ડ્રાઈવર્સ, ટ્રેડર્સ અને વકીલો સાથે સંવાદ કર્યો હતો. રીક્ષા ડ્રાઈવરો સાથે સંવાદ દરમિયાન એક રીક્ષા ડ્રાઈવર વિક્રમભાઈ દંતાણીએ અરવિંદ કેજરીવાલને તેના ઘરે જમાવા માટે આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલે રીક્ષા ડ્રાઈવર વિક્રમભાઈનું આમંત્રણ સહજ સ્વીકાર કરતા કહ્યું હતું તમે મને મારી હોટલ પર લેવા આવશો. જે બાદ વિક્રમભાઈ તેમની રીક્ષા લઇને અરવિંદ કેજરીવાલને લેવા તાજ સ્કાયલાઈન હોટલ પહોંચ્યા હતા.

