જ્યોર્તિમઠ બદ્રીનાથ, દ્વારકા અને શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીનું 99 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે 3:30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. સ્વરૂપાનંદ સ્વામીના નિધનના પગલે તેમના ભક્તોમાં અને લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા અને તેમણે રામ મંદિરના નિર્માણ માટે લાંબી કાનૂની લડાઈ પણ લડી હતી. તેઓ સ્પષ્ટ અને કોઈની શેહશરમ રાખ્યા વગર પોતાના નિવેદનો આપતા હતા જેના કારણે તેઓ અવારનવાર વિવાદમાં પણ આવતા હતા.

