રખડતા ઢોરની સમસ્યામાં રાજ્ય સરકાર કોઇ ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. આ કારણ હોવાના અને વારંવાર આ સમસ્યાના કારણે માનવજીવનનો પણ ભોગ લેવાય છે. તેવી આકરી ટકોર સાથે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા સાંજ સુધીમાં તાત્કાલીક પગલા જાહેર કરવા આદેશ આપ્યો છે. આ સાથે એ પણ તાકીદ કરી હતી કે જો રાજ્ય સરકાર આ સમસ્યા માટે ગંભીર નહીં હોય તો હાઈકોર્ટ ખુદ આદેશ કરશે.
જાહેર હિતની અરજી થઈ: તાજેતરમાં જે રીતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી ખુદ તિરંગા યાત્રા સમયે ગાયની ઢીકના કારણે ઇજાગ્રસ્ત થયા હતા તથા મુખ્યમંત્રીના કાફલામાં પણ આખલો ઘૂસી ગયો હોવાની ઘટના અંગે હાઈકોર્ટ સમક્ષ દ્રષ્ટાંત સાથે રજૂઆત કરવામાં આવી હતી. રખડતા ઢોરની હડફેટે ચડી ગયેલા એક વ્યક્તિના થયેલા મૃત્યુ બાદ હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી પર આજે સુનાવણી થઇ રહી હતી. આ સમયે જ હાઈકોર્ટ દ્વારા આકરુ વલણ લેવાયું છે અને અગાઉ પણ અનેક વખત રાજ્ય સરકારને આ મુદ્દે તાકીદ કરી હોવા છતાં પણ રખડતા ઢોરની સમસ્યાઓ યથાવત રહી હોવાનો હાઈકોર્ટ સામે રજૂઆત કરવામાં આવી હતી.

