ભારત શનિવારે અમેરિકાના ફ્લોરિડા ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી ટી20 મેચ તેમજ શ્રેણી જીતવા માટે આતુર છે. ભારત શનિવારે અને રવિવારે એમ સળંગ બે દિવસમાં બે મેચ રમશે અને બન્ને મેચ સાંજના 8 વાગ્યાથી શરૂ થશે. ભારત હાલ શ્રેણીમાં 2-1થી આગળ છે. ચાલુ મહિનાના અંતે રમાનાર એશિયા કપ અને વર્ષાંતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ અગાઉ ભારત માટે વિન્ડિઝ સામેની ટી20 શ્રેણી પૂર્વ તૈયારીના ભાગરૂપે ઘણી મહત્વની છે.
જગ્યા મળે તો: ટીમમાં જગ્યા મેળવવા માટે હાલમાં યુવા ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. હાલમાં શ્રેયસ ઐયર અને દીપક હુડ્ડા જેવા ટેલેન્ટેડ બેટ્સમેનના પ્રદર્શન પર પસંદગીકારોની નજર રહેશે. શ્રેયસ ઐયર માટે ટી20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવવું મુશ્કેલ જણાય છે. હાલમાં ઈજાગ્રસ્ત કે એલ રાહુલ અને આરામ આપવામાં આવેલા વરિષ્ઠ ખેલાડી વિરાટ કોહલીનું એશિયા કપમાં કમબેક નક્કી છે. જેને પગલે વર્તમાન સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા શ્રેયસ ઐયરને ટીમમાંથી બહાર થવું પડે તેવી શક્યતા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચમાં તે શૂન્ય, 10 અને 24 રન જ કરી શક્યો છે. ઐયરને શોર્ટ પીચ બોલને રમવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જોવા મળ્યું છે.

રાહુલ દ્રવિડ જ્યારથી ભારતીય ટીમના કોચ બન્યા છે ત્યારથી તમામ ખેલાડીઓને પર્યાપ્ત તક મળી છે પરંતુ ઐયર વન-ડેની જેમ ટી20માં ફોર્મ જાળવવામાં સંઘર્ષ કરતો જણાયો છે. દ્રવિડે છેલ્લા અઢી મહિનામાં નવ ટી20 મેચમાં ઐયરને તક આપી છે.
રોહિત પર આધાર: ઐયરને પ્રથમ 10 ઓવરમાં રમવાની તક પ્રાપ્ત થઈ હોવા છતાં તે એકપણ વખત અડધી સદી ફટકારી શક્યો નથી. હવે ફ્લોરિડામાં રમાનાર શ્રેણીની બાકીની બે મેચોમાં ઐયરને તક આપવામાં આવે છે તો તેની પાસે મોટો સ્કોર કરવા સિવાય અન્ય વિકલ્પ રહેતો નથી. ગત મેચમાં શ્રેષ્ઠ ઈનિંગથી સૌને ચોંકાવનાર સુર્યકુમાર યાદવને બાકીની બે ટી20માં પણ કેપ્ટન રોહિત શર્માનો સાથ મળશે. રોહિત શર્માને ત્રીજી ટી20માં પીઠના સ્નાયુ ખેંચાવાની સમસ્યા થતાં તે રિટાયર્ડ હર્ટ થયો હતો. જો કે ત્રણ દિવસનો આરામ મળતા હવે રોહિત ફરી હુંકાર ભરવા તૈયાર રહેશે.

