ટેક્સટાઈલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા ચિરિપાલ ગ્રુપ પર અમદાવાદમાં દરોડા પાડી ને તવાઈ બોલાવી છે. આઈટી વિભાગે શહેરના અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી ચિરિપાલ ગ્રુપની મુખ્ય ઓફિસમાં દરોડો પાડ્યો છે. કંપનીના સંસ્થાપક અને ચેરમેન વેદપ્રકાશ ચિરિપાલ, કંપનીના ડિરેક્ટર્સ- વિશાલ ચિરિપાલ અને રોનક ચિરિપાલ તથા એમડી જ્યોતિપ્રસાદ ચિરિપાલ સાથે સંકળાયેલા અન્ય 35-40 સ્થળોએ પણ દરોડો પાડીને કામગીરી કરી છે. આવકવેરા વિભાગના આશરે 150 જેટલા અધિકારીઓ દરોડાની આ કામગીરીમાં જોડાયા છે.
આ પેઢી પર દરોડા: મેગા સર્ચ ઓપરેશનમાં શહેરના પ્રખ્યાત એવા ચિરિપાલ ગ્રુપ પર સપાટો બોલાયો છે. ચિરિપાલ ગ્રુપ ઉપરાંત નંદન ડેનિમ અને વિશાલ ફેબ્રિક્સ ખાતે પણ આઈટીની તપાસ ચાલું કરવામાં આવી છે. આ તમામ ગ્રુપમાંથી ભારે મોટી કરચોરી, બિનહિસાબી વ્યવહાર ઝડપાય તેવી શક્યતા જણાઈ રહી છે.

થોડા મહિનાઓ પહેલા અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી યોગીરાજ એસ્ટેટમાંથી સબસિડીવાળા કૃષિ ખાતર, યુરિયાનો જથ્થો ઝડપાયો હતો. તે મામલે પોલીસે ગોડાઉનના માલિક સહિત 2 લોકોની ધરપકડ કરી હતી. તેઓ અન્ય આરોપીઓ સાથે મળીને અમદાવાદની ફેક્ટરીઓ અને ચિરિપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીને પોતાના નામની કંપનીની થેલીમાં યુરિયાનો જથ્થો સપ્લાય કરતા હતા.

