મોરબી શહેરના કમાઉ દીકરા સમાન લાતીપ્લોટ વિસ્તાર છેલ્લા 20 વર્ષથી પાલિકાને લાખો રૂપિયાનો વેરો આપે છે તો સરકારને પણ ઘડિયાળ, ગીફ્ટ આર્ટીકલ સહીતની નાની મોટી ફેક્ટરીઓ લાખો રૂપિયાનો જીએસટી પણ કમાઈને આપે છે જોકે શહેરનો કમાઉ દીકરા સમાન જીઆઈડીસી વિસ્તાર નર્કાગાર સ્થિતિમાં પહોંચી ગયો છે. અહી ધંધો વ્યવસાય કરવો તો દુર વાહન લઈને નીકળવાની પણ ઈચ્છા થાય તેમ નથી. આજથી એક વર્ષ પહેલા મોરબી જિલ્લાના તત્કાલીન પ્રભારી મંત્રી સૌરભ પટેલ તથા મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા દ્વારા આ વિસ્તારમાં રોડ રસ્તા અને માળખાકીય સુવિધા માટે રૂ. 20 કરોડનું પેકેજ જાહેર કર્યું હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત જે તે સમયે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, આવતા વર્ષથી જીઆઈડીસી વિસ્તારની સકલ બદલાવી દેવાશે અને ફરીથી આ વિસ્તારમાં લોકોને ભૂગર્ભ ગટર ઉભરાવવા કે વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો સામનો નહી કરવો પડે ત્યારે મોરબી ક્લોક એસોશિએશન દ્વારા પ્રભારી અને ધારાસભ્યનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો જોકે આ પેકેજમાંથી કેટલો ખર્ચ થયો અને ક્યાં વિસ્તારમાં સુવિધા મળી તે પાલિકા અને સરકારી તંત્ર જાણે કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાતી પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયેલ છે જે સ્થાનિક ઉદ્યોગકારો માટે માથાનો દુખાવો બની ગયું છે.
આ વિસ્તારમાં વેપારીના રો મટિરીયલ ભરેલ વાહન કે તૈયાર માલ અન્ય સ્થળે લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રક, બોલેરો કે અન્ય માલવાહક વાહન આ કીચડમાં ફસાઈ જતા હોય છે અને તેના કારણે વાહનમાલિકો વધુ ભાડા વસુલે છે તો ઘણા વાહનચાલકો આવવા પણ રાજી થતા નથી જેના કારણે ઉધોગકારોને હાલાકી સાથે-સાથે નુકસાની પણ વેઠવી પડી રહી છે.

આ અંગે લાતી પ્લોટના ઉદ્યોગકાર દેવાંગભાઈના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન દર વર્ષે કાદવ કીચડ અને પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે જેના કારણે મજૂરોને આવવાં જવામાં મુશ્કેલી થાય છે અને મહિનાના 15 દિવસ તો નાછુટકે રજા જેવો માહોલ હોય છે. અગાઉ અહીં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરના કામ કરવામાં આવ્યા હતા જોકે હજુ કામગીરી અધૂરી છે. અહીં સીસી રોડ પર માટી નાખી દેવાતા વાહન પણ લપસી રહ્યા છે. બ્રિજેશભાઈ મેરજાએ જયારે આ વિસ્તારમાં રસ્તાના કામના ખાતમુર્હુત કર્યા ત્યારે તેમના પર આશા હતી કે સમસ્યા ઉકેલાશે પરંતુ આશા ઠગારી નીવડી છે.
બાબુભાઈ નામના ટાઈલ્સનું માર્કેટિંગ કરતા વેપારીએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા લાતી પ્લોટ 7 વિસ્તારમાં જે ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હતું જેના કોન્ટ્રાક્ટર દ્વારા અહીં જે વાહન ચલાવવામાં આવતા હતા તેનાથી પાણીની લાઈન તુટી ગઈ હતી જે લાઈન છેલ્લા 15 દિવસથી તૂટેલ હોવાના કારણે રોડ પર દરરોજ પાણી વેડફાઈ છે. આ બાબતે અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. હાલ વરસાદના કારણે પાણી વધુ ભરાયું છે તો માટી નાખી હોવાથી સ્થિતિ વધુ ખરાબ બની છે. વરસાદી પાણી તેમજ આ લાઈન લીકેજનું પાણી દુકાનમાં કે ફેક્ટરીમાં ન ભરાય તે માટે નાછૂટકે વેપારીઓએ પોતાના ઉદ્યોગ ધંધાના દરવાજા પાસે એકથી બે ફૂટની પાળી કરી દીધી છે.

