મોરબી શહેરને તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આદર્શ નગર બનાવવું હશે તો પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તે અનિવાર્ય છે જેથી ભાજપ શાસિત મોરબી પાલિકાના મહિલા પ્રમુખ કુસુમબેન પરમારે મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો તે સત્તા છોડવા તૈયાર છે તેવી લાગણી વ્યક્ત કરીને વડાપ્રધાનને પત્ર લખ્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, જો મહાનગરપાલિકાની સત્તાવાર જાહેરાત થશે તો વર્તમાન પ્રમુખ તરીકેની અને વોર્ડ નંબર 11 ના કાઉન્સિલર તરીકેની મારી જવાબદારીઓ અને સત્તા મારે છોડવાનો વારો આવશે એ જાણવા છતાં મારી સ્ત્રી દાક્ષણીય તરીકે સર્વશ્વ છોડવા હું તૈયાર છું.
ઔધોગિક રીતે સક્ષમ મોરબી શહેર દિન પ્રતિદિન વિકાસ પામી રહ્યું છે મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય જિલ્લાની વસ્તી માઇગ્રેટ થઈ શહેરમાં આવી રહી છે. શહેર ની વસ્તી જે રીતે વધી રહી છે તે પ્રમાણે મોરબી પાલિકા જરૂરિયાત પૂર્ણ કરી શકે તેટલી સક્ષમ નથી જેના કારણે મોરબીને મહાનગર પાલિકા બનાવવી જરૂરી બની છે.
મોરબી નગરપાલિકાના વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન(મહા નગરપાલિકા)માં તબદીલ કરીને માધાપર, વજેપર, શનાળા, રવાપર, નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડિયાદ, ત્રાજપર, લાલપર, વગેરે સહિતના ગામોનો સમાવેશ કરીને મહાનગરપાલિકા તરીકે દરજ્જો આપવા ભાજપ અગ્રણી વિજયભાઈ લોખીલ દ્વારા રજુઆત કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકાના વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશનમાં તબદીલ કરવા માટેની માંગણી, આ અગાઉ પણ મોરબી શહેરના લોકો દ્વારા ઘણાં સમયથી કરવામાં આવેલ છે. તે અંગેની સઘળી માહિતી સભર હકીકતો જે તે સમયે રજૂ કરવામાં આવેલ છે. જે સરકારના સંબંધીત વિભાગમાં હાલે વિચારણા હેઠળ છે. આમ છતાં, મોરબી શહેરની તથા સૂચિત મોરબી મ્યુનીસીપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ એરિયામાં હાલે ઉપલબ્ધ સગવડોની મુખ્ય હકીકતો, આ સાથે સામેલ રાખી રાજ્ય મંત્રી અને મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને સહયોગ અર્થે મોકલેલ છે. જેથી વહેલી તકે તેઓની આગવી કુનેહ અને વિદ્વતા થી તેઓ નિર્ણય કરાવી શકે.
મોરબી નગરપાલિકા “અ” વર્ગની નગરપાલિકા સને 2001 ની સાલ થી છે. અને તા. 15/08/2013 મોરબી જિલ્લો પણ જાહેર થઈ ગયેલ છે. આમ મોરબી શહેર અત્યારે જિલ્લા મથક તરીકે પણ, નવા જાહેર થયેલા તમામ જિલ્લાઓમા અગ્રેસર જિલ્લા મથક તરીકે વિશિષ્ટ સુવિધાઓ વાળુ શહેર બને તે.જરૂરી છે. હવે આ જિલ્લા મથકના હેડ ક્વાર્ટર એવા મોરબી શહેરને મ્યુનીસીપલ કોર્પોરેશનનો દરજ્જો અપાવવાની ખાસ તાતી જરૂરીયાત છે. આ માટે સમગ્ર પ્રજાજનો વતી પણ આ માંગણી તુરત સંતોષાય તેવી અપેક્ષા રાજ્યમંત્રી અને ધારાસભ્ય પાસે વ્યક્ત કરેલ છે. કારણકે તેઓ મોરબી-માળીયા વિધાસભાના લોક પ્રતિનિધિ છે. અને સાથે સરકારમાં મંત્રી તરીકે કાર્યરત છે. તેથી મોરબી નગરના લોકોની તેઓની પાસે અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. અને આ અંગે સત્વરે નિર્ણય કરાવવા અર્થેની ઘટતી પ્રક્રિયા પૂર્ણ કરવાની ફરજ પણ છે.

