જામનગર જીલ્લામાં દિન પ્રતિદિન લંપી વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે પશુપાલકો અને પશુપાલન વિભાગમાં ચિંતા વધી ગઈ છે. લંપી વાયરસને જોતાં જામનગર જીલ્લા પંચાયતના પશુપાલન ખાતા દ્વારા સઘન સારવાર અને રસીકરણ શરુ કરી દેવામાં આવ્યું છે ત્યારે જામનગર તાલુકાના તમાચણ ગામના ગ્રામજનોએ આરોગ્ય કેન્દ્રમાંથી લંપી વાયરસની પ્રતિરોધક રસી મેળવીને એનિમલ હેલ્પલાઈન 1962 ના ડોક્ટરો મારફત ગામના પશુઓનું રસીકરણ કરાવ્યું હતું.

જામનગર શહેર બાદ લંપી વાયરસ ગામડાઓ સુધી પહોંચ્યો છે ત્યારે તાલુકાના તમાચણ ગામે અબોલ પશુઓની કાળજી રાખવા માટે તથા ચોમાસામાં પશુઓમાં કોઈપણ જાતની બીમારી ન ફેલાય તે હેતુથી ક્ષત્રિય સમાજના યુવાનો સહિતના ગ્રામજનોએ એકઠા થઈને આરોગ્ય કેન્દ્રમાંથી રસી મેળવીને એનિમલ હેલ્પલાઈન 1962 ના ડોક્ટરો મારફત ગામના 105 જેટલા પશુઓને લંપી વાયરસની પ્રતિરોધક રસી મુકાવી હતી. પશુઓના રસીકરણ માટે આર્મીમાં ફરજ બજાવતા વિજયસિંહ પરમાર, વેટરનીટી ઓફિસર ભવાનીસિંહ, પાયલોટ યશપાલસિંહ તેમજ ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

