શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં લગભગ 50 વિધાયકોના બળવા બાદથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. શિવસેનાએ આ મુદ્દે આજે પોતાની કાર્યકારિણી બેઠક પણ બોલાવી છે.
શિવસેના ભવનમાં બેઠક: બેઠક આજે બપોરે 1 વાગે મુંબઈના શિવસેના ભવનમાં થશે. સીએમ ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠકમાં જોડાશે અને પાર્ટીના પદાધિકારીઓને હાલની સ્થિતથી માહિતગાર કરીને આગળની સલાહ માંગી શકે છે. જ્યારે ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે આજે સાંજે 6.30 વાગે બિરલા માતોશ્રી સભાગૃહમાં યુવા શિવસૈનિકોને સંબોધન કરશે

રસ્તા પર દેખાવ: બદલાઈ રહેલા રાજકીય માહોલ વચ્ચે મહારાષ્ટ્ર પોલીસ અલર્ટ મોડ પર છે. રાજ્યના ડીજીપીએ મહારાષ્ટ્રના તમામ પોલીસ સ્ટેશનોને હાઈ અલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે શિવસૈનિક મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરીને હંગામો કરી શકે છે. આવામાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. ડીજીપી તરફથી બહાર પાડવામાં આવેલ અલર્ટ મુજબ તમામ પોલીસકર્મીઓ અલર્ટ રહે અને પોત પોતાના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રાખે.

ભાજપનું વલણ: ભાજપ હાલ ચૂપચાપ છે અને દૂર રહીને તકની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ છેલ્લા 3 દિવસથી સતત પોતાના મોટા નેતાઓ અને વિધાયકો સાથે બેઠક કરી રહ્યા છે. જો કે ભાજપે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ પર નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેમને શિવસેનામાં આવેલા રાજકીય ભૂકંપ સાથે કોઈ લેવાદેવા નથી. આમ છતાં ભાજપ આ સ્થિતિ પર સતત વિચાર વિમર્શ કરી રહ્યું છે.

