સલામત સવારી ગણાતી એસટી બસ હવે અસલામત બની ગઇ છે. જૂનાગઢ વિભાગની અનેક એસટી બસો સાવ કંડમ બની ગઇ છે. પરિણામે એસટી નિગમના કુલ અકસ્માતોમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ અકસ્માતો જૂનાગઢ વિભાગમાં થયા હોવાના આક્ષેપ સાથે એસટી કર્મચારી મંડળના પ્રમુખે એસટીના વિભાગીય નિયામકને રજૂઆત કરી છે. સાથે આ અંગે ઘટતી કાર્યવાહી નહિ થાય તો ના છૂટકે આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ છે.
આવી હાલત: ધક્કો ગાડી, બ્રેક ન લાગતી હોય તેવી ગાડી, સાઇડ ગ્લાસ ન હોય તેવી ગાડી, ચાલુ ગાડીમાં સેન્સર મુકાઇ જવું જેવી અનેક સમસ્યા સર્જાય છે જેનો સામનો એસટી કર્મચારીઓ કરી રહ્યા છે. હાલ અનેક બસોમાં બ્રેક લાગતી નથી. જે ચોમાસામાં જોખમી સાબિત થાય છે.

આંદોલનની ચીમકી: બસમાં વાઇપર ચાલુ ન હોય એસટી કર્મચારીઓ જીવના જોખમે બસ ચલાવવા મજબૂર બન્યા છે. જ્યારે નબળું કેએમપીએલ આવવાના બહાના હેઠળ કામદારોને માનસિક ત્રાસ અપાય છે. ત્યારે આ અંગે ટૂંક સમયમાં જ ઘટતી કાર્યવાહી કરવામાં નહિ આવે તો જૂનાયઢ એસટી વિભાગના તમામ કર્મચારીઓ વતી મંડળના સત્તાધિશોને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

