ભાવનગર શહેરની મુખ્ય શાકમાર્કેટમાં લીલા શાકભાજીના ભાવ સડસડાટ રીતે આસમાને આંબતા મધ્યમવર્ગીય પરિવારોના કિચન બજેટ અસ્તવ્યસ્ત થઈ જવા પામેલ છે.
15 દિવસોમાં ભાવ વધારો: પખવાડીયાથી ભાવનગર સહિત ગોહિલવાડમાં ચૈત્રી દનૈયા આકરા તપતા ગોહિલવાડના રહિશો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. અગાઉના વર્ષોની તુલનામાં આ વર્ષે ઉનાળો ખરા અર્થમાં જામ્યો હતો. આકરા ઉનાળાના કારણે ભાવનગર શહેરની મુખ્ય શાકમાર્કેટમાં મોટા ભાગના લીલા શાકભાજીની રોજીંદી આવક ઘટતા તેના ભાવ આસમાને આંબી ગયા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે જયારે લીંબુનો વપરાશ વધી ગયો હતો તેવા સમયે જ ગરમીમાં રાહત આપતા લીંબુના ભાવ દાંત ખાટા કરી દે તેવા રૂા 80 થી વધીને સડસડાટ રીતે 180 થી 200એ આંબી ગયા હતા.
કેરીના ભાવ સ્થિર: કેરીના ભાવ હજુ સુધી ન ઘટયા નથી.સીઝન દરમિયાન લીલા શાકભાજી અને કેરીના ભાવ ઉંચા રહેતા મધ્યમવર્ગીય ગૃહિણીઓે પરિવારના સભ્યોને ભાણામાં હવે શુ પીરસવુ તેની દ્વિધા અનુભવી રહ્યા છે. લીલા શાકભાજી મોંઘા થતા ગૃહિણીઓ કઠોળના ઉપયોગ તરફ વળી રહી છે.

