રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓમાં હલચલ શરૂ થઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ઠેર ઠેર સભાઓ ગજવવામાં આવી રહી છે. આગામી તા. 11ના રોજ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ રાજકોટમાં આવી રહ્યાં છે. શાસ્ત્રી મેદાનમાં સભા ગજવીને સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. કેજરીવાલની મુલાકાત પહેલા જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં તા. 11મી મેએ યોજાનાર કેજરીવાલની જાહેરસભામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના આપના મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડશે. અરવિંદ કેજરીવાલની જાહેરસભાને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર આપ પ્રમુખ શિવલાલ બારસિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠિયા, રાજભા ઝાલા સહિતના આગેવાનો તૈયારીમાં જોડાયા છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં કોંગ્રસ-ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકરો આપની ટોપી પહેરી પાર્ટીમાં જોડાય તેવી રાજકીય હલચલ શરૂ થઈ છે.

અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માગી છે. જેને વહીવટી તંત્રએ મંજૂરી આપી દીધી છે. સભા પહેલા રોડ-શો યોજાશે. રાજકોટમાં કેજરીવાલ કોને મળવાના છે, રાજકોટ બાદ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જશે તે અંગે જાણવા મળ્યું નથી.

