રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસની એક સાંધો ત્યાં તેર તુટે જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના એક બાદ એક નેતા નારાજગી વ્યક્ત કરીને ભાજપ અને આપમાં જઈ રહ્યાં છે. ત્યારે હવે અખાત્રીજે ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય 100 જેટલા કાર્યકરોની સાથે ભાજપનો કેસરીયો ધારણ કરશે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલ ગુજરાત કોંગ્રેસને પડશે વધુ એક ફટકો પડ્યો છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ આવતીકાલે ભાજપમાં જોડાશે. સવારે 9 વાગ્યે કમલમમાં અશ્વિન કોટવાલ પહોંચશે. જ્યાં 100થી વધારે કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાશે. તાલુકા સભ્યો સાથે અશ્વિન કોટવાલ કેસરિયો ધારણ કરશે. આ પ્રસંગે સાબરકાંઠાના જિલ્લા ભાજપના હોદ્દેદારો પણ હાજરી આપશે

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યક્રમોમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી જોવા મળી રહી છે. પાર્ટીએ વિપક્ષના નેતા ન બનાવતા નારાજ થયેલા અશ્વિન કોટવાલે ભાજપનો છેડો પકડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પડક્યુ છે. સમગ્ર વિધાનસભા સત્રમાં કોટવાલ નિષ્ક્રિય રહ્યા હતા. જે જોતા લાગી રહ્યુ છે અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડબ્રહ્મા કોંગ્રેસનો ગઢ ગણાય છે. તેમજ આગામી 10મી મેના રોજ રાહુલ ગાંધી દાહોદ આવીને આદિવાસી સંમેલનને સંબોધશે. તે પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

