આગામી વિધાનસભાની ચૂંટણીને જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. એકબાદ એક નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે રાહુલ ગાંધીનો 1લી મેનો ગુજરાત પ્રવાસ મોકુફ કરવામાં આવ્યો છે. ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

તા. 1 મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવવાના હતા. આ પ્રવાસ દરમિયાન દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાની શરૂઆત કરાવવાના હતા. 2022ની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ આદિવાસી અધિકાર યાત્રા યોજાવાની હતી. આ યાત્રાને લઇને દાહોદમાં કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો દ્વારા બેઠકનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જો કે 1 મેનો પ્રવાસ ભલે કેન્સલ થયો પરંતુ આગામી 12 જૂનના રોજ બારડોલી સત્યાગ્રહના દિવસે પણ રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે અને સભાને પણ સંબોધશે.

