કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસની પ્રાદેશિક નેતાગીરીથી નારાજ છે. શુક્રવારે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પટેલે કોંગ્રેસની લીડરશીપ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. બીજી તરફ હાર્દિકે ભાજપની પ્રશંસા પણ કરી હતી. હાર્દિકે કહ્યું કે, ભાજપે જે તત્કાલ રાજકીય નિર્ણયો લીધા છે તે પ્રશંસનીય છે. હાર્દિકના નિવેદન પર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ભાજપ અને પીએમ મોદીની વિચારધારાથી આખો દેશ પ્રભાવિત છે. હાર્દિક પટેલ સિવાય કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ઘણા પ્રભાવિત હશે.

આખો દેશ ભારતીય જનતા પાર્ટી અને પીએમ મોદીની વિચારધારાથી પ્રભાવિત છે. પીએમ મોદી અને કામ કરવા પદ્ધતિએ અને દેશનો જે રીતે આગળ વધાર્યો છે. દરેક ક્ષેત્રમાં એક સર્વાંગી વિકાસ કોને કહેવાય એ તેમને છેલ્લા 2014થી આખા દેશ અને દુનિયાને બતાવ્યું છે. સ્વાભાવિક છે કે કોંગ્રેસના ઘણા નેતા હાર્દિક પટેલ સિવાય પણ પ્રભાવિત હશે. હાર્દિક પટેલે ફરીવાર કોંગ્રેસ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાર્ટીમાં જે ચિંતા હતી તે હાઈકમાન્ડને રજૂઆત કરી છે. સામે હાર્દિક પટેલે કહ્યું હતું કે, મને વ્યક્તિગત કોઈનાથી નારાજગી નથી પણ સ્ટેટ લીડરશીપ સામે નારાજગી છે. સ્ટેટ લીડરશીપની જે જવાબદારી બનવી જોઈએ તેમાં વિવાદનો વંટોળ દેખાઈ રહ્યો છે. લીડર વધારે છે તેથી નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ સમયસર નથી આવતું. જોકે, હાર્દિક પટેલે અચાનક ભાજપના કામના વખાણ કરતા મામલો ઘણી રીતે ગરમાયો છે. ખાસ કરીને છેલ્લા પંદર દિવસથી અને હાર્દિકની હાઈકમાન્ડ સાથેની મુલાકાતથી રાજકારણમાં અનેક મોરચે ઉથલપાથલ થાય એવા એંધાણ વર્તાય રહ્યા છે.

