દેશભરમાં હનુમાન જંયતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પણ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં હનુમાન જંયતીના દિવસે કોમી એકતાના દર્શન થયા છે. જ્યાં મુસ્લિમ સમાજે રૂ.21000નું દાન કર્યું છે. વલસાડ પાસે આવેલા ઉમરગામમાં હનુમાન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્વમાં કેટલાક મુસ્લિમો પણ આવ્યા હતા. ઉમરગામમાં હનુમાનજી મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સ્વની ઉજવણી કરવામાં આવી હતી.
એ સમયે ઉમરગામ મસ્જીદના મૌલવી તથા મુસ્લિમ અગ્રણીઓએ હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રૂ.21000નું યોગદાન આપ્યું છે.આ સિવાય પીવાના પાણીનો તમામ ખર્ચો ઉપાડવા એલાન કર્યું હતું. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ પણ આ ઉજવણીમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. એકબાજું જ્યાં રાજ્યમાં રામનવમીના દિવસે રામસવારી પર પથ્થરમારો કરાયો હતો. પણ વલસાડના ઉમરગામે આવી કોમીએકતાના દર્શન થયા હતા. હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુસ્લિમ સમાજે આ રીતે અનોખી પહેલ કરી હતી. જેની સમગ્ર વલસાડમાં જોરશોરથી વાત થઈ રહી છે. લોકો આ પગલાંને બિરદાવી રહ્યા છે. ઉમરગામની સૌથી મોટી મસ્જિદના મૌલાના તથા મુસ્લિમ આગેવાનોએ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ પણ લીધો હતો.

ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ટા મહોત્વમાં મુસ્લિમ મહિલાઓ પણ જોડાઈ હતી. પીવાના પાણીની સેવા આપી હતી. તમામ મુસ્લિમ મહિલાઓનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મુસ્લિમ અગ્રણીઓનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું. ઉમરગામમાં ધર્મના લોકો એકબીજાના ધર્મને આદર સત્કાર આપી કોમીએકતાની મિશાલ પૂરી પાડી રહ્યા છે. જોકે, દર્શન કરવા માટે આવેલા ભાવિકોએ પણ આવી એકતાને સલામ કર્યું હતું.
પાણીની સેવાને મુસ્લિમ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. હનુમાન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુસ્લિમ સમાજે પીવાનું પાણી આપ્યું હતું. આવી એકતા જોઈને ભાવિકો પણ થોડો સમય આશ્ચર્ય પામ્યા હતા. માછી સમાજ સંચાલિત હનુમાન મંદિરે હનુમાન જંયતી પ્રસંગે ખાસ હનુમાન ચાલીસાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક ભાવિકો પણ એકઠા થયા હતા.

