કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓએ પેન્સન સહિત અન્ય માંગ માટે સરકાર સામે વિરોધ કરવાનું આયોજન કર્યું હતું. શહિદ વીરમંગલ પાંડે હોલમાં આ અંગે એક સભાનું આયોજન કરાયું હતું. પણ સભા શરૂ થાય એ પહેલા જ ઓડિટોરિયમની આસપાસ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે ત્યાંથી પસાર થતા દરેક વાહનચાલકોની પૂછપરછ કરાઈ હતી. સરકારી કર્મચારીઓ અહીં વિરોધ કરવા માટે એકઠા થાય એ પહેલા એમની અટકાયત કરી લેવામાં આવી.

મહાનગર અમદાવાદના નિકોલમાં કર્મચારીઓની અધિકાર સભા પૂર્વે જ 15થી વધારે સરકારી કર્મીઓની અટકાયત કરી લેવામાં આવી છે. શહીદ મંગલવીર હોલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સભાનું આયોજન કેન્દ્ર તથા રાજ્ય સરકારના કર્મચારીઓ તરફથી ત્રણ મુદ્દાઓને લઈને કરવામાં આવ્યું હતું. જેમાં જૂની પેન્સન યોજના મંજૂર કરવા, ફિક્સ પગાર અથવા કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સ જેની પ્રથાને બંધ કરવા તથા કેન્દ્રના સ્તરે સ્વીકારેલી માંગમાં સાતમા પગારપંચને લાગુ કરવા માટે તમામ લાભ જૂની અસરથી આપવા માટે કહેવામાં આવ્યું છે. કર્મચારીએ ભેગા થાય એ પહેલા જ પોલીસે મુખ્ય ગેટ બંધ કરી દીધા હતા. વધારાની ટુકડી બોલાવી લેવામાં આવી હતી. સભામાં આવેલા સરકારી કર્મચારીઓને પકડી લેવાયા હતા.પોલીસ વિભાગે મંજૂરી ન આપી હોવા છતાં આ લોકો વિરોધ કરવા માટે સભા કરવા માટે એકઠા થયા હતા. મંગલપાંડે ખાતેની પોલીસ મંજૂરી રદ્દ કરાતા નિકોલ ખોડિયાર મંદિર પાસે સરકારી કર્મચારીઓ એકઠા થયા હતા. 200થી વધારે કર્મચારીઓ એકઠા થતા પોલીસે ટુકડી તૈયાર કરીને અટકાયત કરી હતી.

ખોડિયાર મંદિર અંગેની જાણકારી પોલીસને થતા પોલીસ કાફલો મંદિરે પહોંચ્યો હતો. લોકોની એટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આગામી દિવસોમાં જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો કર્મચારીઓ રેલી કાઢશે એવી ચિમકી ઉચ્ચારી હતી. જોકે, સરકારી કર્મચારીઓની પેન્સનને લીઈને જૂની માંગ છે. વર્ષ 2014 પછી ભરતી કરવામાં આવેલા બે લાખ જેટલા કર્મચારીઓને જૂની રીત અનુસાર પેન્સન દેવામાં આવી એવી એમની માંગ છે. જોકે, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સનો નિકાલ કરવા અંગે એમનો પ્રશ્ન ઘણો જૂનો છે. આ પહેલા પણ તેઓ છેક ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છે.

