ગુજરાતના શિક્ષણજગત જાણે વિવાદનો વાયરલ લાગ્યો હોય એવી સ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહી છે. ખાસ કરીને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ બફાટ કરતા મામલો રાજકીય રીતે ગરમાતો જોવા મળ્યો છે. હવે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આ વાત સ્વીકારી છે કે, ગુજરાતની શાળાઓમાં નાના બાળકોની સ્કૂલ ફી બે લાખ રૂપિયા હોય છે. નાના બાળકોની સાચવણીની ફી રૂ.2 લાખ લેવામાં આવે છે.
જુદા જુદા શહેરોમાં લક્ઝરી ગણાતી શાળાઓમાં બાળકોની લાખો રૂપિયા ફી લેવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીએ સાંકેતિક શબ્દોમાં જણાવ્યું કે, બાળકોને સાચવવા માટે ખૂબ મોટી મહેનત કે જહેમત ઊઠવવી પડતી નથી. માત્ર બાળકને સ્વચ્છ રાખવાનું હોય છે. એ વખતે સિલેબસ પમ એટલો વિશાળ હોતો નથી. પરીક્ષાઓ પણ મોટાભાગે હોતી નથી.પણ આ નાના ધોરણોની મોટી ફી લેવાય છે. પુરૂષોત્તમ રૂપાલાનું આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે હળવાશથી આ વાત કહી છે પણ આ એ મુદ્દો છે કે, જે રાજ્યના હજારો વાલીઓને અસર કરે છે. રાજ્યના હજારો વાલીઓ આ લાખો રૂપિયાની ફી ભરી રહ્યા છે. મોંઘવારીમાં એક પછી એક ડામ સરકાર તરફથી દેવામાં આવતા હોય ત્યારે અન્ય કોઈ નહીં પણ કેન્દ્રીય મંત્રીની વાત સરકારે પણ સ્વીકારવી જોઈએ. આ પહેલા ભરત કાનાબારે શિક્ષણને લઈને સરકારની ટકોર કરી હતી. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ કહ્યું કે, આમા તો એવું છે કે, માનવાનું કોને? સરકાર ભાજપની છે. કેન્દ્રીય મંત્રી ભાજપના છે. કોંગ્રેસ કહે તો કહે છે આક્ષેપ કરે છે. પણ હવે એમના નેતાઓ જ કહે છે. બીજા કોઈ કહે કે, તમારે ગુજરાતના શિક્ષણની ટીકા કરાવી હોય તો બીજા રાજ્યમાં જતા રહો. તો શું હવે પુરૂષોત્તમ ભાઈને બીજા રાજ્યમાં જવાનું? ભરત કાનાબારે બીજા રાજ્યમાં જવાનું?

રાજ્યના શિક્ષણમંત્રી અને સરકારના પ્રવક્તા બીજા રાજ્યમાં મોકલવા માંગે છે. તમારે રાજ્યમાં ટીકા જ નહીં કરવાની. તમારે શિક્ષણ અંગેની વાત જ નહીં કરવાની. મોંઘાદાટ શિક્ષણ, બેફામ ફી ઉઘરાવે. ફિ-નિયમન કમિટીના નામે મોટાપાયે ગેરરીતિઓ થાય. આ ફી કેવી રીતે નક્કી થાય એ વાલીઓ કે વિદ્યાર્થીઓને જાણવાનો કોઈ અધિકાર નહીં. માણસનો પાયાનો અધિકાર છે, જે બંધારણે આપેલો છે. જે ફી ભરે છે એનેય ખબર નથી કે, મારા પાસેથી એટલી ફી શા માટે વધારે લેવાય છે. હવે કેન્દ્રીય મંત્રી કહે છે કે, રૂ2થી 2.5 લાખ રૂપિયા ફી લેવામાં આવતી હોય તો આ લૂંટનો કારોબાર કોણ ચલાવે છે. કેન્દ્રીય મંત્રીને કહું છું કે, માત્ર પ્રવચન પૂરતી તમે આ વાત કરતા હોવ તો દંભીપણું બંધ કરી દો. સાચી વાત હોય તો તમે તમારી સરકારને કેમ કહેતા નથી. કેમ આ લૂંટના કારોબાર ચલાવે છે. આ પરથી એક વાત તો સાબિત થાય છે કે, ફી વધારાને લઈને કેન્દ્રીય મંત્રી સુધી વાત તો પહોંચતી જ હશે. દોશીએ ઉમેર્યું કે, છેલ્લા પંદર વર્ષથી ગુજરાતમાં શિક્ષણના નામે વેપલો ચાલી રહ્યો છે. બેફામ ફી વસુલાઈ રહી છે. ભાજપ સરકારે સ્કૂલ સંચાલકો માટે વ્યવસ્થા કરી છે. હવે સરકાર અને સ્કૂલ સંચાલકોની ભાગીદારી જીતી અને વિદ્યાર્થીઓ વાલીઓ લૂંટાયા. જીતુભાઈ પુરૂષોત્તમભાઈ એ ક્યા રાજ્યમાં જવું અને ક્યારે જવાનું? ભાજપનાની પોલીસીને કારણે ગુજરાતના શિક્ષણનો દાટ વળી ગયો.

