ખાનગી શાળાઓની ક્યારેક મનમાનીને કારણે ભોગવવાનો વારો બાળકોનો આવ્યો હોય એવા અનેક કિસ્સાઓ છે. થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલ બે શિફ્ટમાં ચાલી રહી છે. ટ્રાંસપોર્ટેશનની અવ્યવસ્થાને કારણે બાળકો રઝડી પડ્યા હતા. 12 વાગ્યે છૂટી ગયેલા બાળકો 2 વાગ્યા સુધી રઝડ્યા હતા. જેને લઈને વાલીઓએ સ્કૂલ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. બાળકો સમયસર ઘરે ન પહોંચતા વાલીઓ સ્કૂલે આવી પહોંચ્યા હતા. વાલીઓએ સ્કૂલે જઈને હોબાળો કર્યો હતો.
અમદાવાદમાં આવેલી ઉદગમ સ્કૂલમાં સવારે 7થી 12 અને બપોરે 12:30થી 5:30 વાગ્યા સુધીની એમ બે શિફ્ટ ચાલી રહી છે. સોમવારે બપોરે 12 વાગે બાળકો છૂટ્યા ત્યારે બસ આવી ન હતી.જેથી બાળકો સ્કૂલ કેમ્પસમાં જ બસની રાહ જોઈને બેસી રહ્યા હતા. લાંબા સમય સુધી બસ ન આવતા બાળકી પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. 40 ડિગ્રી કરતા વધુ ગરમીમાં બાળકો રીતસરના શેકાઈ ગયા હતા. 45 મિનિટ પછી સ્કૂલની બસ આવી હતી. એ સમયે કેટલાક બાળકો મળ્યા ન હતા તો કેટલાક બાળકો રડતા રડતાં ચડ્યા હતા. આવી સ્થિતિને કારણે વાલીઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા. આ તમામ અવ્યવસ્થાને કારણે બાળકોની બસ પણ સમયસર સ્કૂલેથી જ રવાના ન થતા વાલીઓએ હંગામો કર્યો હતો. વિદ્યાર્થીઓને 2 વાગ્યા સુધી તો બસમાં બેસાડવામાં અને બસને ઉપાડવામાં સમય થયો. આ સ્કૂલમાં ફી એડવાન્સમાં વસુલ કરવામાં આવે છે. પણ વાહન વ્યવહારને લઈને કોઈ સુવિધા ઊભી ન થતા વાલીઓ ચિંતાગ્રસ્ત થયા હતા. સગવડ પૂરી આપવામાં આવતી નથી જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

અમદાવાદ વાલી મંડળના પ્રમુખ ભાવિન વ્યાસે જણાવ્યું હતું કે, મહિનાદીઠ 1000ખી 1500 રૂપિયા એમ ચાર મહિનાના એડવાન્સ લેખે સ્કૂલ પૈસા વાલીઓ પાસેથી લઈ લે છે. પણ પ્રાથમિક સુવિધાના નામે મીંડુ છે. ઘણા વાલીઓ પોતાની ચાલું નોકરીએ પોતાના બાળકોને લેવા માટે પહોંચ્યા હતા.જ્યારે વાલીઓએ સ્કૂલે ફોન કર્યા ત્યારે સ્કૂલે કોઈ યોગ્ય જવાબ પણ આપ્યો ન હતો. આ મામલે વાલીઓ એકઠા થશે અને સ્કૂલને કાયદેસરની રજૂઆત કરવામાં આવશે. જ્યારે મનન ચોક્સી (સ્કૂલ સંચાલક)નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ રીતે ફોન ઉપાડ્યો જ ન હતો.

