ગાઝિયાબાદના દશના દેવી મંદિરના મુખ્ય પૂજારી યતિ નરસિમ્હાનંદે કથિત રીતે કહ્યું છે કે, જો કોઈ મુસ્લિમ વ્યક્તિ દેશના વડાપ્રધાન બનશે તો 20 વર્ષમાં 50 ટકા હિંદુઓનું ધર્માંતરણ થઈ જશે. દિલ્હી વહીવટીતંત્રની પરવાનગી વિના આયોજિત હિંદુ મહાપંચાયતને સંબોધતા, નરસિમ્હાનંદે કથિત રીતે હિંદુઓને તેમના અસ્તિત્વને બચાવવા માટે શસ્ત્રો ઉપાડવા માટે પ્રોત્સાહિત કર્યા.
બુરારી મેદાન ખાતે મહાપંચાયતનું આયોજન એ જ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે અગાઉ હરિદ્વાર અને દિલ્હીના જંતર-મંતર ખાતે સમાન કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જ્યાં કથિત રીતે મુસ્લિમ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બુરારી મેદાનમાં રવિવારે આયોજિત કાર્યક્રમમાં હિન્દુ શ્રેષ્ઠતાની ભાવના ધરાવતા ઘણા નેતાઓએ હાજરી આપી હતી. નરસિમ્હાનંદ હાલ હરિદ્વારની ઘટનાના મામલે જામીન પર બહાર છે. તેમણે કહ્યું કે, વર્ષ 2029 કે વર્ષ 2034 કે વર્ષ 2039માં મુસ્લિમ વડાપ્રધાન બનશે.

એક વખત મુસ્લિમ વડાપ્રધાન બને તો, આગામી 20 વર્ષમાં 50 ટકા હિંદુઓનું ધર્માંતરણ થઈ જશે, 40 ટકાની હત્યા થઈ જશે અને બાકીના 10 ટકા કાં તો શરણાર્થી શિબિરોમાં અથવા અન્ય દેશમાં હશે. સોશિયલ મીડિયા પર મહાપંચાયતના વીડિયોમાં નરસિમ્હાનંદ કથિત રીતે કહેતા સાંભળવા મળે છે કે, આ હિન્દુઓનું ભવિષ્ય હશે. જો તમારે આ ભવિષ્યમાંથી બચવું હોય તો માણસ બનો અને હથિયાર ઉઠાવો.

