રાજ્યમાં કેટલાક સમયથી ખેડૂતોએ રાજ્ય સરકાર સામે વીજળી અને પાણીના મુદ્દે બાંયો ચડાવી છે. આ મામલે ગુજરાત આમ આદમી પાર્ટીએ ખેડૂતોને સમર્થન આપ્યું છે. જોકે, હવે આ વિષય પર રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે. જીતુ વઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિમંત્રી રાઘવજીભાઈ, કનુ દેસાઈ અને સરકાર મને પણ એ કમિટીમાં જવાબદારી આપી છે ત્યારે ખેડૂતોના પ્રશ્ને રાજ્યની આ સરકાર કાયમ માટે સંવેદનશીલ છે. જે કટોકટી સર્જાય છે એમાં અમુક સ્થિતિ આપણા હાથમાં નથી હોતી.
ખાસ કરીને વીજળીના વિષયમાં. આ કટોકટીની સ્થિતિમાંથી બહાર નીકળવા માટે રાજ્યની ભપેન્દ્ર પટેલની સરકાર એ જ સંવેદનાથી કામ કરી રહી છે. ખેડૂતોના હિત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અને આ રાજ્ય સરકારે અગાઉ અનેક કામો કરેલા છે. આજે જે સ્થિતિ છે એમાંથી વીજળી ખરીદવી પડે તો પણ મળવી જોઈએ. વાત મૂળ વીજળી મળવાની છે. સમગ્ર દેશની અંદર એક કંપની સપ્લાય કરી રહી છે. જેની સામે ડિમાન્ડ છે. એવા સમયે રાજ્યની બહારથી વીજળી ખરીદવા માટે રાજ્યની સરકાર કટીબદ્ધ છે. ખેડૂતોના પાકને નુકસાન ન થાય પણ આ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ, હું ખેડૂતોને વિનંતી કરૂ છું. રાજ્યની સરકારને આપના ખેતરે વીજળી ન પહોંચે એનાથી સરકારને શું ફાયદો થવાનો? અમને શું ફાયદો થવાનો? ગ્રામીણ વિસ્તારમાંથી અનેક ખેડૂતો આગળ આવે એ માટે અનેક પ્રયત્નો કર્યા છે. આવી કોઈ બાબત ક્યારેય કોઈ રાજ્ય સરકાર ઈરાદા પૂર્વક કરે નહીં. અમે તો ન જ કરીએ. જે લોકો ઉશ્કેરણી કરે છે એને પણ સમજવું જોઈએ. ખેડૂતોને પણ વિનંતી છે. આવો અમને કહો. અમારા જે કંઈ થાય છે એ અમે કરી રહ્યા છીએ. આ કામ ઝડપથી પૂર્ણ થાય એ પ્રકારના પ્રયાસ એ અંગે આજની મિટિંગમાં પણ ચર્ચા કરીશું.
સતત ક્નુભાઈએ ચિંતા કરી રહ્યા છે. પણ સમય અને સ્થિતિને પણ આપણે સમજીએ. એમના ખેતરમાં પાણી મળે એ માટે રાજ્યની સરકાર કટિબદ્ધતાથી કામ કરશે. જોકે, ખેડૂતોએ વીજળીની સાથે પાણી માટેના મીટર ન લાગુ કરવા અંગે પણ વાત કરી છે. જોકે, જુદા જુદા ખેડૂત સંગઠનની બેઠક સરકાર સાથે થવાની છે એમાં ચર્ચા થયા બાદ આ વાતનો નીવડો આવે એવી રાજ્યના ખેડૂતો આશા રાખી રહ્યા છે. હકીકત એવી પણ છે કે, અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં વીજળી ખૂબ મોંઘી છે. એવામાં ખેડૂતોને વીજળી ન મળતા સમગ્ર ખેડૂત વર્ગે સરકાર સામે બાયો ચડાવી હતી.

