ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આવનારા દિવસોમાં કોળી સમાજનું એક મોટું સંમેલન યોજાશે. સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકોને ભેગા કરીને રાજકોટમાં સંમેલન થશે. મેં કુંવરજીભાઈ સાથે સમાધાન કર્યું નથી અને લાગતું પણ નથી. મારા સંમેલનમાં કુંવરજીભાઈ અને મહેન્દ્ર મુંજપરાનેનો એન્ટ્રી છે. આટલી વાતચીત બાદ બાવળીયાએ આ અંગે એક વળતો જવાબ આપી દીધો છે.

કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, ફતેપરા સાથે મારે કંઇ લાગેવળગે નહીં. તે થોડો કોળી સમાજને ખિસ્સામાં લઈને ફરે છે. એવું જ હોત તો સુરેન્દ્રનગરમાં બીજીવાર ચૂંટણી લડ્યો તો જીતી ગયો ન હોત! દેવજી ફતેપરા કાર્યક્રમ કરતો હોય તો ભલે કરે. બાકી કોળી સમાજમાં કંઇ કોઈ ફાંટા-બાટા છે નહીં. જે કોઇને વ્યક્તિગત વાંધો હોય તો એને કંઈ ફાટા ન કહેવાય. એ સમાજને ખિસ્સામાં લઈને થોડો ફરે છે. બાકી કોળી સમાજમાં કોઈ ફાટા છે નહીં. સુરેન્દ્રનગરમાંથી ચૂંટણી જીત્યો હોત તો ધારાસભ્ય ન થઈ ગયો હોત! બોલવું સહેલું છે પણ કરીને બતાવવું અઘરૂ છે. એ બોલે એમ કંઈ ન થાય. રાજકોટમાં 10થી 15 હજાર લોકોનું સંમેલન બોલાવે તો કહેવાય.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ગત 4 જાન્યુઆરીએ કોળી સમાજની બેઠક યોજાઈ હતી. પણ કુંવરજી પર આક્ષેપ કરતા ફતેપરા નારાજ થયા હતા. બાવળીયા પર આક્ષેપને લઈને ફતેપરા બોલ્યા હતા કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે સમાજના મુખ્ય આગેવાનોની બેઠકમાં કોને જવું એ અમે બન્નેએ નક્કી કરવાનું હતું, પણ કુંવરજીભાઈ એમાં ફરી ગયા હોય એમ મને લાગ્યું આ મીટિંગ માટે કુંવરજીભાઈએ મારા સહિત સૌરાષ્ટ્રના અગ્રણીઓને સાથે લઈ જવા જોઈએ, પણ તે અચાનક પાટીલને મળવા માટે મોટા ભાગના આગેવાનોને પડતા મૂકીને નીકળી ગયા હતા. જેને પડતા મૂકેલા એ સમાજના આગેવાનોના નામ અને ભાજપ નેતાઓના નામ પાટીલને જાહેર કરી દીધા. રામ (બાવળિયા) અને લક્ષ્મણ (ફતેપરા) જોડી કુંવરજીભાઈએ તોડી હોવાનો આક્ષેપ કર્યો હતો.

પ્રેદશ પ્રમુખ પાટીલ સાથેની બેઠક પછીના બીજા દિવસે એટલે કે તા.5 જાન્યુઆરીએ કુંવરજી બાવળિયાએ કહ્યું કે, દેવજીભાઈને વાંધો સાબરિયા અને મુંજપરા સાથે હતો એમાં મારું નામ ઉછાળ્યું. ફતેપરાને મને એ બંનેનું મોઢું જોવું નથી, એવું કહી મને પાટીલની મીટિંગમાં આવવાની સ્પષ્ટ ના પાડી હતી. આ બે વ્યક્તિ એટલે સાબરિયા અને મુંજપરા. જેઓ આ બેઠકમાં ભાગ લેવાના હતા. પણ એનાથી ફતેપરાને વાંધો પડ્યો. તેમણે કોળી સમાજની બેઠક બોલાવી હતી અને તા.5 જાન્યુઆરીએ પાટીલની શુભેચ્છા મુલાકાત માટે જવાનું એવી વાત કરી. આ વાત હું મીડિયા સામે પણ બોલ્યો હતો. બીજી બાજું દેવજી ફતેપરાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની વસ્તી વધારે છે. અમે પણ સમાજના આગેવાન અને નેતા છીએ. અમારા સમાજના લોકો અમને પણ પૂછતા હોય છે. સૌરાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 54 બેઠક છે. જેના પર કોળી અને ઠાકોર સમાજના નિર્ણાયક મતદારો છે. જે ઉમેદવારને ઝુકાવી કે હરાવી પણ શકે છે. આવનારા દિવસોમાં અમારે અને સમાજે શું નિર્ણય કરવો એ જાહેર કરાશે. કુંવરજીભાઈ મારાથી કેમ દૂર રહે છે એ સવાલ તમે એને પૂછો તો સારૂ. આ અંગે મારે કંઈ બોલવું નથી.

