પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ધોબી પછડાટ લાગ્યા બાદ કોંગ્રેસે ગુજરાતમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. ગુજરાત કોંગ્રેસના મોટા કહેવાતા નેતાઓએ ચૂંટણી પહેલા દિલ્હીમાં ધામા નાંખ્યા છે. ગુજરાત કોંગ્રેસના મોટા કહેવાતા નેતાઓનો દિલ્હીમાં મંગળવારે બીજો દિવસ રહ્યો છે. મંગળવારે તેઓ કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધીને મળવાના હતા. એમની સાથે બેઠક યોજીને ગુજરાતમાં નવા સંગઠન અને વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના અંગે ચર્ચા વિચારણા થઈ શકે છે.
જોકે, ચર્ચા એવી પણ છે કે, ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનમાં અનેક નવા ચહેરાઓને સ્થાન અપાઈ શકે છે. આ માટે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, અર્જુન મોઢવાડિયા અને લાલજી દેસાઈ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથેની બેઠકમાં ભાગ લેવાના છે. જોકે, આ બેઠકમાં વિપક્ષ નેતા સુખરામ રાઠવા હાજર નથી. આ પહેલા તેઓ પણ આ બેઠકમાં હાજરી આપવાના હતા. પણ અંતિમ સમયે એમની ફ્લાઈટ રદ્દ થઈ જતા તેઓ દિલ્હી પહોંચી શક્યા નથી. તાજેતરમાં પાંચ રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ રધુ શર્માએ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના મોટા નેતા સાથે બેઠક યોજી હતી. આ પછી 20 જેટલા ધારાસભ્યોએ રાહુલ ગાંધીને એક પત્ર પણ લખ્યો હતો. જોકે, હાઈકમાન્ડ સાથેની બેઠકમાં આગામી ચૂંટણી અંગે કોઈ મોટા આદેશ આવી શકે છે. બીજી બાજું ગુજરાતમાં ફરી કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા માટે દોડધામ કરી શકે છે. જોવાનું એ રહે છે કે હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ કોંગ્રેસના આ મોટાનેતાઓમાંથી કોણ કેવી રણનીતિથી આગળ વધે છે.

કોંગ્રેસના મોટા નેતાઓ એકાએક દિલ્હી પહોંચતા આ બેઠકને રાજકીય રીતે સૂચક માનવામાં આવે છે. કોંગ્રેસના નેતાઓએ વિધાનસભા ગજવ્યા બાદ કેવી લડત આપવાના છે એના પર ઘણા રાજકીય પંડિતોની નજર છે. સુત્રોમાંથી વાવડ એવા પણ મળ્યા છે કે, સૌ પ્રથમ સૌરાષ્ટ્ર પર કોંગ્રેસનું ધ્યાન ફોક્સડ રહેવાનું છે. હજું પણ ઘણા જિલ્લાઓમાં કોંગ્રેસને સક્રિય થવા માટેના અમુક ચાન્સ રહેલા છે. હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ ચૂંટણી પ્રચાર માટેની રણનીતિ નક્કી થાય એ પણ અપેક્ષિત મનાય રહ્યું છે.

