ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વિઠલપુર ગામમાં સિંહ પરિવારના ધામાથી ખેડૂતોમાં ભયનો માહોલ ઉભો થયો છે. રાત્રીના સમયે ખેડૂતોને ખેતરે જવામાં પણ ભય લાગે છે. તેમજ ગામની સીમમાં રાત્રીના સમયે બે સિંહો આરામ ફરમાવી રહ્યાના દ્રશ્યો ખેડૂતે કેમેરામાં કેદ કર્યાં છે.

ગીર સોમનાથ જિલ્લામાં ગીર જંગલ બોર્ડર પરના ગામોમાં કાયમી સિંહો આંટાફેરા કરતા જોવા મળે છે. જેમાં પણ ઉનાળાની સિઝનમાં વારંવાર નજરે પડે છે. કોડીનાર તાલુકાના ગીર જંગલ બોર્ડેર નજીક આવેલા વિઠલપુર ગામે છેલ્લા પાંચ દિવસથી સિંહ પરિવારે ધામા નાંખી આંટાફેરા કરતા ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી છે. ગામની સીમમાં અને આસપાસના વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા નાંખવાથી રાત્રીના ખેતરમાં પાણી વાળવા જવા સમયે ખેડૂતોને સતત ભયમાં સતાવી રહ્યો છે.

તો ખેતરમાં દિવસ દરમિયાન કામ કરતા હોય તેવા સમયે પણ પોતાનું તથા ખેતરમાં રમતા બાળકોનું ધ્યાન રાખવાની સાથે કાળજી રાખવી પડે છે. વિઠલપુર સીમ અને આસપાસના વિસ્તારોમાં સિંહ પરિવારના ધામાની સાબીતી સમાન દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં એક ખુલ્લા ખેતરમાં બે સિંહો રાજાશાહી રીતે બેસી આરામ ફરમાવી રહ્યાનું જોવા મળે છે. થોડીવાર બાદ એક સિંહ ઉભો થઈને આંટાફેરા મારી રહ્યો છે.

