રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા સામે ભાજપના હોદ્દેદાર હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા, વિજય સખિયા અને પરસોત્તમ સાવલિયાનો ખટરાગ વધી રહ્યો છે. જિલ્લા બેંકમાં ભરતીના મુદ્દે આ ચારેય આગેવાનોએ જયેશ રાદડિયા સામે ગાંધીનગરના સહકાર વિભાગમાં કાયદેસરની રજૂઆત કરી છે. બીજી બાજું જયેશ રાદડિયાએ જિલ્લા બેંક લોધિકા સંઘના પ્રતિનિધિ તરીકે રહેલા મહેશ આસોદરિયાના નામની જે તે સમયે જાહેરાત કરી હતી.
હવે એ જ મહેશ આસોદરિયાને પાડાસણ સહકારી મંડળીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. હરદેવસિંહ જાડેજા જૂથના વિજય સખિયાને હવે દૂર કરીને જિલ્લા બેંકમાં લોધિકા સંઘના પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરિયાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. પણ મહેશ આસોદરિયાના નામની દરખાસ્ત આમ પણ પેન્ડિગ હતી. મહેશ આસોદરિયા હવે પાડાસણ સહકારી મંડળીના પ્રતિનિધિ પદે ન હોવાથી સંઘમાં એનો પ્રવેશ હવે કઠિન બની રહેશે. આ દરખાસ્તને લીલી ઝંડી મળે એ પહેલા જ હરદેવસિંહ ગ્રૂપે જયેશ રાદડિયા સામે દાવ રમી નાંખ્યો છે. એવી ચર્ચા રાજકોટના સહકારી જૂથમાં થઈ રહી છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક ચેરમેન, ભાજપના પૂર્વ મંત્રી તથા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભાજપના જ નીતિન ઢાંકેચા, પરસોત્તમ સાવલિયા, વિજય સખિયા અને હરદેવસિંહ જાડેજાએ ગાંધીનગરમાં જઈને રાજકોટ જિલ્લા બેંકમાં કથિત ભરતી કૌભાંડ લઈને ઉપલા અધિકારીઓ સુધી વાત કરી છે. જ્યારે વિઠ્ઠલ રાદડિયા આ બેંકના ચેરમેન હતા ત્યારે વર્ષ 2002માં બોર્ડ મિટિંગમાં ઠરાવ કરીને ભરતી અંગેની તમામ સત્તા ચેરમેનનો સોંપી દેવામાં આવી હતી. અંદરખાને એવો પણ આક્ષેપ છે કે, રાદડિયા દર વર્ષે 70 લોકોની ભરતી કરે છે અને આ રીતે તેમણે કરોડો ભેગા કર્યા હતા.
રાજકોટના યાર્ડથી લઈને સહકારી જૂથમાં ભાજપ પક્ષમાં જ બે ફાટા પડી ગયા છે. એક બાજું જયેશ રાદડિયા અને બીજી બાજું ભાજપના અન્ય હોદ્દેદારો. પરંતુ, સરકારના મંત્રી પદેથી સ્થાન ગુમાવ્યા બાદ જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ખાસ કરીને બેકિંગ અને યાર્ડમાં ડંકો વાગે છે. પરંતુ, ભાજપનું એક ગ્રૂપ એમની સામે ઊભું થતા રાજકોટના સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે. જોકે, આ કોઈ નવી વાત નથી. ચૂંટણી પહેલા એક પ્રકારનો જે માહોલ જોવા મળે છે આ એને લગતું છે. પણ આવા વિખવાદથી ભાજપને આગામી ચૂંટણીમાં નુકસાન થશે એવી ભીતિ અવશ્ય છે.

